પશુપાલન વિભાગ દ્વારા ૮ તાલુકાના ૨૫૧ ગામોમાં ૧૫ હજારથી વધુ પશુઓને કૃમિનાશક દવા અપાઈ

0
પશુપાલન વિભાગ દ્વારા ૮ તાલુકાના ૨૫૧ ગામોમાં ૧૫ હજારથી વધુ પશુઓને કૃમિનાશક દવા અપાઈ
Contact News Publisher

ભારે વરસાદ વચ્ચે પશુધનની સલામતી માટે વહીવટી તંત્રની પરિણામલક્ષી કામગીરી

— 

અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચીને પશુઓના આરોગ્યની સ્થળ પર ચકાસણી કરી

સમયસર મળેલા માર્ગદર્શન બદલ પશુપાલકે વ્યક્ત કર્યો પશુપાલન વિભાગનો આભાર

 —

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૮. – તાપી જિલ્લામાં ચોમાસા અને ભારે વરસાદની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પશુપાલન વિભાગ દ્વારા પશુઓના આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.

 

આ તકે સોનગઢ તાલુકાના ટોકરવા ગામના પશુપાલક સેવંતાબેન સુરેન્દ્રભાઈ ગામીતે જણાવ્યું કે, પશુપાલન વિભાગની ટીમ અમારા ઘરે આવી હતી. તેમણે પશુઓના આરોગ્યની તપાસ કરી અને ભારે વરસાદ કે આપત્તિ જેવી સ્થિતિમાં પશુઓની કેવી રીતે કાળજી રાખવી તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. વરસાદી માહોલમાં પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ અમારા પશુઓની પણ ચિંતા કરી અને સમયસર માર્ગદર્શન પૂરું પાડ્યું, તે બદલ હું તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.

 

આ ઝુંબેશ અંતર્ગત તાપી જિલ્લાના તમામ અસરગ્રસ્ત તાલુકાઓ અને ગામોની મુલાકાત લઈને અધિકારીઓ તથા પશુચિકિત્સકોની ટીમે સ્થળ પર જઈ પશુઓના આરોગ્યની ચકાસણી કરી હતી તેમજ પશુપાલકોને વરસાદી પરિસ્થિતિમાં પશુઓની યોગ્ય કાળજી રાખવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.

 

પશુચિકિત્સકોએ પશુપાલકો સાથે સીધો સંવાદ સાધી ભારે વરસાદ અથવા પાણી ભરાવાની સ્થિતિમાં પશુઓને તાત્કાલિક સલામત અને ઊંચાણવાળા સ્થળે ખસેડવા, ખુલ્લામાં ન બાંધી તબેલા અથવા શેડમાં રાખવા, તબેલા તથા આસપાસના વિસ્તારની સ્વચ્છતા જાળવવા, ઘાસચારો અને ખાણ-દાણ ભીંજાય નહીં તે માટે સૂકી અને સુરક્ષિત જગ્યાએ સંગ્રહ કરવા તેમજ ચોમાસામાં ફેલાતા વિવિધ રોગચાળાથી પશુઓનું રક્ષણ થાય તે માટે જરૂરી સાવચેતી રાખવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

 

નોંધનીય છે કે, તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના માર્ગદર્શન અને નાયબ પશુપાલન નિયામક ડો. રાધાબેન પઢેરના નેતૃત્વમાં પશુપાલન વિભાગની સંપૂર્ણ ટીમે પરિણામલક્ષી કામગીરી કરી છે. જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ દરમિયાન પશુપાલન વિભાગની ટીમો દ્વારા તાપી જિલ્લાના ૮ તાલુકાઓના ૨૫૧ ગામોના ૧૫ થી પણ વધુ પશુઓની સ્થળ પર જ આરોગ્ય તપાસ કરવામાં આવી હતી અને ચોમાસા દરમિયાન થતા રોગચાળા સામે રક્ષણ મેળવી શકાય તે માટે પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી હતી.

000

સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.

👉🏻  ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !

________________

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *