તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવ – ૨૦૨૬ સંદર્ભે જાહેરનામુ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૧૦ :- તાપી જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. જેને લઈને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે ગણેશ ઉત્સવ – ૨૦૨૬ સંદર્ભે કેટલાંક પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પ્રસિદ્ધ ક્યુ છે.
ગણેશ ઉત્સવ સંદર્ભે બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, શ્રી ગણેશજીની માટીની મૂર્તિઓ બેઠક સહિત ૦૯ (નવ) ફૂટથી વધારે ઊંચાઈની બનાવવા, વેચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમજ તમામ મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવ તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નક્કી કરેલ સ્થળોએ જ કરવાનું રહેશે.
આ ઉપરાંત, પ્લાસ્ટર ઓફ પેરિસ અને ફાઈબરની મૂર્તિઓ બેઠક સહિત ૦૫ (પાંચ) ફૂટથી વધારે ઊંચાઈની બનાવવા, વેચવા, સ્થાપવા, જાહેર માર્ગ પર પરિવહન કરવા તથા નદી, તળાવ જેવા કુદરતી જળસ્ત્રોતોમાં વિસર્જન કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
મૂર્તિકારો જે જગ્યાએ મૂર્તિઓ બનાવે અથવા વેચવા માટે રાખે છે ત્યાં આજુબાજુમાં ગંદકી કરવા કે જાહેર રોડ પર ટ્રાફિકને અડચણ થાય તે રીતે મૂર્તિઓ ખુલ્લી રાખવા પર પ્રતિબંધ રહેશે.
સ્થાપના દિવસ બાદ વેચાણ ન થયેલી કે બનાવટ દરમિયાન ખંડિત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા પર, કોઈપણ ધર્મના લોકોની ધાર્મિક લાગણી દુભાય તેવા ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિઓ બનાવવા, ખરીદવા, વેચવા કે સ્થાપવા પર તેમજ ગણેશ ઉત્સવના પંડાલો જાહેર માર્ગો કે જાહેર સ્થળો પર રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
વધુમાં, ગણેશ વિસર્જન પૂર્ણ થયા બાદ મંડપો ૨ દિવસથી વધારે સમય સુધી રાખી શકાશે નહીં. ફાઈબરની મૂર્તિઓનું વિસર્જનના દિવસે કે ત્યારબાદ સરઘસ રૂપે બહાર કાઢવા પર, પરમિટમાં દર્શાવેલા રૂટ સિવાયના અન્ય રૂટ પર વિસર્જન સરઘસ લઈ જવા પર, તથા મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સહેલાઈથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ જાહેરનામાની અમલવારી 05.08.2026 થી તા. 30.09.2026 દરમિયાન રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
