“ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત તાપી જિલ્લાને ૧૩ નવી બસોની ભેટ

તાપી જીલ્લાના આદિજાતિ વિદ્યાર્થીઓના શિક્ષણને મળશે નવી ગતિ
સોનગઢ ખાતેથી રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૦૬: આદિજાતિ વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સુવિધા વધુ સરળતાથી મળી રહે તે હેતુથી ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત તાપી જિલ્લાને ૧૩ બસોની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગુરુવારના રોજ સોનગઢ નવા બસ સ્ટેન્ડ ખાતેથી રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યકક્ષાના મંત્રી ડો. જયરામભાઈ ગામીતે ૧૩ નવી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવી હતી.
તાપી જિલ્લો આદિજાતિ બહુલ અને ડુંગરાળ વિસ્તાર ધરાવતો જિલ્લો છે. અંતરીયાળ વિસ્તારોમાં વસતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ સુધી પહોંચવા માટે વાહનવ્યવહારની પૂરતી સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં “ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા” અંતર્ગત બસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ બસ સેવા શરૂ થતાં અંતરીયાળ ગામોના વિદ્યાર્થીઓને શાળા અને કોલેજ સુધી સમયસર પહોંચવામાં સરળતા રહેશે. સાથે જ વિદ્યાર્થીઓની હાજરીમાં વધારો થશે તેમજ તેઓ પોતાની પસંદગીના અભ્યાસક્રમમાં અભ્યાસ કરવાની વધુ સારી તક મેળવી શકશે. રાજ્ય સરકારની આ પહેલ આદિજાતિ વિસ્તારના યુવાનોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપનાર મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્ય સર્વેશ્રી મોહનભાઈ ઢોડિયા, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી, સોનગઢ તાલુકા પ્રમુખશ્રી, જિલ્લા અગ્રણીશ્રી સૂરજભાઈ વસાવા, તેમજ પ્રાયોજના વહીવટદારશ્રી રાજેશ કુમાર મૌર્ય, મદદનીશ કમિશનર (પ્રા.વ.), ડીવીઝનલ કંટ્રોલર-સુરત, ડેપો મેનેજરશ્રી-સોનગઢ સહિતના પદાધિકારી-અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
