તાપીમાં વરસાદી આગાહી વચ્ચે ઉકાઈ તાલુકામાં નીચાણવાળા વિસ્તારના લોકો અને આશ્રમશાળાના ૧૩૯ જેટલા બાળકોનું સુરક્ષિત સ્થળાંતર

ઉખલદા અને ધજામ્બા ગામના અસરગ્રસ્ત નાગરિકોને સુરક્ષિત આશ્રયસ્થાનોમાં ખસેડાયા
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૩૦ :- ભારે વરસાદની આગાહી વચ્ચે તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે પૂર્વતૈયારીના ભાગરૂપે ગુરુવારે ઉકાઈ તાલુકાના નીચાણવાળા અને સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકો તેમજ બાળકોનું ત્વરિત સ્થળાંતર કરાયું છે.
ગામના દાદરી ફળિયામાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને રાખીને ૩૦ જેટલા નાગરિકોને સુરક્ષિત રીતે ઉખલદા આદર્શ પ્રાથમિક શાળા ખાતે ખસેડવામાં આવ્યા છે. સ્થળાંતરિત કરાયેલા લોકો માટે આશ્રય સ્થાન ખાતે જ રહેવા માટે જરૂરી પાથરણા, ઓઢવાની વ્યવસ્થા, ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી અને તાત્કાલિક આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી છે.
માછલી ફળિયાના ૧૭ નાગરિકોને સાવચેતીના ભાગરૂપે તેમના સંબંધીઓના સુરક્ષિત ઘરોમાં ખસેડવામાં આવ્યા છે. વરસાદી વાતાવરણમાં કાચા કે જૂના મકાનોમાં જોખમ ન રહે તે માટે ભેંસરોટ આશ્રમશાળાઓના ૪૮ બાળકોને પતરાવાળા મકાનમાંથી નવી સ્લેબવાળી પાકી બિલ્ડિંગમાં, બોરીસાવર આશ્રમશાળાના ૯૧ બાળકોને નળિયાવાળા મકાનમાંથી સુરક્ષિત સ્લેબવાળા નવા મકાનમાં સ્થળાંતરિત કરાયા છે.
તાપી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર પળેપળની પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તમામ તાલુકાઓમાં રેસ્ક્યુ તથા રાહત કામગીરી માટે ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવે છે.
○•○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
