ઉકાઈ જળાશય આધારિત ઉદ્વહન સિંચાઈ યોજનાના પવિત્ર જળના રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ઉત્સાહભેર કર્યા નીર વધામણાં

કોરાલા અને નિઝર ગામે પવિત્ર જળના પૂજન-અર્ચન સાથે ખેડૂતોની સુખાકારી માટે કરી પ્રાર્થના
—
મુખ્યમંત્રીશ્રીની ૯૬૨ કરોડની સિંચાઈ યોજનાથી નિઝર-કુકરમુંડાના ૫૯ ગામોની ૩૨,૫૦૦ એકર જમીનને મળશે લાભ
—
તાપીના અંતરિયાળ વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું સરકારનું ભગીરથ સ્વપ્ન સાકાર થયું: રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીત
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 11 : રમતગમત, ઉદ્યોગ અને પ્રવાસન રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ગુરુવારે ઉકાઈ જળાશય આધારિત ‘સોનગઢ, ઉચ્છલ, નિઝર ઉદ્વહન સિંચાઈ યોજના’ અંતર્ગત કુકરમુંડાના કોરાલા અને નિઝર ગામે પધારીને ઉત્સાહભેર નીર વધામણા કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ પવિત્ર જળના પૂજન-અર્ચન સાથે ખેડૂતો અને ગ્રામજનોની સુખાકારી, સમૃદ્ધિ અને ખુશહાલી માટે પ્રાર્થના કરી હતી.
આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોને સમયસર સિંચાઈ સુવિધા આપવા કટિબદ્ધ છે. સિંચાઈના વિસ્તરણથી કૃષિ ઉત્પાદન અને ખેડૂતોની આવક વધશે, જેનાથી ગ્રામીણ વિકાસને નવી ગતિ મળશે. સરકારના દુરંદેશી આયોજનના પરિણામે જ આજે અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સુધી સિંચાઈનું પાણી પહોંચાડવાનું ભગીરથ સ્વપ્ન સાકાર થયું છે.
નોંધનીય છે કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાના ખેડૂતોને ૯૬૨ કરોડની ઉદ્વહન સિંચાઈ યોજનાની ભેટ મળી છે. માત્ર નિઝર અને કુકરમુંડા તાલુકાની વાત કરીએ તો અહીંના ૫૯ ગામોની મળીને કુલ ૩૨૫૦૦ એકર જમીનને આ યોજના અંતર્ગત સિંચાઈનો સીધો લાભ મળશે.
રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની મુલાકાત વેળાએ સંબંધિત વિભાગના અધિકારીઓ, જનપ્રતિનિધિશ્રીઓ, સ્થાનિક હોદ્દેદારો, ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
