વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોનું યોગદાન સૌથી મહત્વપૂર્ણ – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારા કોલેજ ખાતે ‘જ્ઞાન ચતુર્વેણી સમારોહ: સન્માન, સાહિત્ય અને સંવર્ધન’ કાર્યક્રમ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૧. :– રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્ય કક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં વ્યારા કોલેજના ઓડિટોરીયમ હોલ ખાતે ‘જ્ઞાન ચતુર્વેણી સમારોહ : સન્માન, સાહિત્ય અને સંવર્ધન’ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે પોતાના સંબોધનમાં ભૂતકાળના સંસ્મરણો વાગોળતા જણાવ્યું કે, આજે પણ કોલેજકાળના એ દિવસો યાદ આવે છે. શિક્ષકો અને પ્રોફેસરોના યોગ્ય માર્ગદર્શનના કારણે જ આજે વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીનું નિર્માણ થઈ શક્યું છે.
તેમણે કહ્યું, આગામી દિવસોમાં અહીં શરૂ થનારા ઉપયોગી કોર્સ વિદ્યાર્થીઓના ભાવિ ઘડતર માટે ખૂબ જ બહુમૂલ્ય સાબિત થશે. રુચિ ધરાવતા અભ્યાસ માટે સ્થાનિક યુવાનોને દૂર-સુદૂર જવું ન પડે તે હેતુથી યુનિવર્સિટી અને ટ્રસ્ટ દ્વારા અહીં એમ.એ. (પીજી) માં અંગ્રેજી વિષયનો કોર્સ શરૂ કરવામાં આવ્યો છે, જે આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે અત્યંત લાભદાયી નીવડશે.
સાથોસાથ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે નેટ અને જી-સ્લેટ માટેનું જરૂરી માર્ગદર્શન પણ હવે વિદ્યાર્થીઓને આ કોલેજ કેમ્પસમાંથી જ સરળતાથી મળી રહેશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રૂ. ૮ કરોડથી પણ વધુના ખર્ચે તાપી જિલ્લામાં તૈયાર થનારી લાઈબ્રેરીઓ પ્રત્યેક વિદ્યાર્થીઓના અભ્યાસ માટે બહુમૂલ્ય સાબિત થશે. જે ‘વિકસિત ભારત ૨૦૪૭’ના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોનું યોગદાન સૌથી મહત્વપૂર્ણ બની રહેશે.
આ કાર્યક્રમમાં સમાજશાસ્ત્ર ગુજરાતી, અર્થશાસ્ત્ર અને એકાઉન્ટન્સી તથા કોમ્પ્યુટર એપ્લિકેશન અને કોમ્પ્યુટર સાયન્સના વિષયમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે શીલ્ડ અને પ્રશસ્તિપત્ર આપીને પ્રોત્સાહિત કરાયા હતા. તેમજ ગામીત સમાજના લોકગીતો સહિતના વિવિધ પુસ્તકોનું વિમોચન મંત્રીશ્રીના હસ્તે કરાયું હતું.
શ્રી ર. ફા. દાબુ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. પી. ચૌહાણ આર્ટ્સ, શ્રીમતી જે. કે. શાહ અને શ્રી કે. ડી. શાહ કૉમર્સ કૉલેજ તથા કે. આર. પી. દરજી ઇન્ડો-અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્પ્યુટર સાયન્સ, વ્યારાના ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત, શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર તથા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી, સુરતના અંગ્રેજી વિભાગના હેડ, એસોસિએટ પ્રોફેસર અને BOS (અંગ્રેજી)ના ચેરમેનશ્રી ડૉ. જી. કે. નંદા, શ્રી ર. ફા. દાબુ કેળવણી મંડળના મંત્રીશ્રી મહેશભાઈ શાહ, અને ચેરમેનશ્રી નેવિલભાઈ જોખી, કોલેજના આચાર્ય ડો. હિતેન્દ્રસિંહ ખરવાસિયાજી, કોલેજના ઉપાચાર્ય ડો. વસંતભાઈ ગામીત તેમજ વિષય નિષ્ણાંતો સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ સંસ્થાની વિવિધ શૈક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સરાહના કરી હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
