વાસ્મો સચિવશ્રી સ્તુતિ ચારણ અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને રાહત-પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી

વ્યારા રિવરફ્રન્ટથી ડોલવણના પંચોલ અને અંધારવાડી સુધી સ્થળ મુલાકાત; અસરગ્રસ્ત પરિવારો, આશ્રિત બાળકો અને ગ્રામજનો સાથે સંવાદ કરી આરોગ્ય, સ્વચ્છતા અને ક્લોરીનેશન કામગીરી પર ભાર મૂક્યો
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) :તા. ૨૫:. તાપી જિલ્લામાં અતિભારે વરસાદને પગલે સર્જાયેલી પરિસ્થિતિના અનુસંધાને વાસ્મોના સચિવશ્રી સ્તુતિ ચારણ તથા જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ શનિવારે જિલ્લાના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લઈને રાહત, પુનઃસ્થાપન અને આરોગ્યલક્ષી કામગીરીની સમીક્ષા કરી હતી.
અધિકારીશ્રીઓએ સૌપ્રથમ વ્યારા શહેરના શંકર ફળિયા-રિવરફ્રન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ભારે વરસાદથી અસરગ્રસ્ત શહેરીજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સ્થિતિ, થયેલી નુકસાની તેમજ આરોગ્ય સંબંધિત જરૂરીયાતોની માહિતી મેળવી હતી. આ દરમિયાન સ્વચ્છતા જાળવવા, શુદ્ધ પીવાનું પાણી ઉપયોગમાં લેવા તથા વરસાદ બાદ આરોગ્યલક્ષી તકેદારી રાખવા અંગે માર્ગદર્શન આપીને સ્થાનિક તંત્રને જરૂરી સૂચનો કર્યા હતા.
ત્યારબાદ સચિવશ્રી સ્તુતિ ચારણે ડોલવણ તાલુકાના પંચોલ ગામની પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે આશ્રય આપવામાં આવેલા બાળકો સાથે સ્નેહસભર સંવાદ કર્યો હતો. બાળકોના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી તેમને હિંમત અને આત્મવિશ્વાસ આપ્યો હતો.
આ ઉપરાંત અધિકારીશ્રીઓએ પંચોલ ગામના પારસી ફળિયા અને આશ્રમ ફળિયા નજીક ઓલણ નદી વિસ્તારની મુલાકાત લઈને વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્થાનિક ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો જાણી તંત્રને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
વધુમાં અંતરિયાળ અંધારવાડી વિસ્તારની મુલાકાત લઈને ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. તેમણે આરોગ્ય સેવાઓ, પીવાના પાણીની ક્લોરીનેશન કામગીરી, દવા છંટકાવ તેમજ વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે હાથ ધરાયેલી કામગીરી અંગે સ્થાનિક અધિકારીઓ અને તબીબો સાથે વિસ્તૃત ચર્ચા કરી રચનાત્મક સૂચનો આપ્યા હતા.
આ પ્રસંગે ગ્રામજનોએ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલી સમયસરની રાહત અને બચાવ કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ સમગ્ર મુલાકાત દરમિયાન વાસ્મો સચિવશ્રીએ અધિકારીશ્રીઓએ રાહત અને પુનઃસ્થાપન કામગીરી વધુ અસરકારક રીતે આગળ વધે, અસરગ્રસ્ત પરિવારોને જરૂરી તમામ સુવિધાઓ સમયસર ઉપલબ્ધ થાય તેમજ સ્વચ્છતા અને જાહેર આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે તે માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીશ્રી રામનિવાસ બુગાલિયા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જે. એન. દેસાઈ સહીત, વ્યારા પ્રાંત અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, વ્યારા નગરના ચીફઓફિસર સહીતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતાં
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
