વાલોડ તાલુકામાં ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રી નિપુણા એમ. તોરવણેની ઉપસ્થિતિમાં ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો : ૧૨૫ વિદ્યાર્થીઓને મળ્યો શૈક્ષણિક પ્રવેશ

(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૪. :- વાલોડ તાલુકા ખાતે ‘પ્રગતિનો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026’ અંતર્ગત ગૃહ વિભાગના અગ્ર સચિવશ્રીમતી નિપુણા એમ. તોરવણે વિવિધ શાળાઓની મુલાકાત લઈ શૈક્ષણિક મહોત્સવમાં સહભાગી બન્યા હતા.
શ્રીમતી નિપુણા એમ. તોરવણેએ વાલોડ તાલુકાની મોરદેવી મુ. પ્રાથમિક શાળા, સાધના વિદ્યાલય-મોરદેવી અને ઉત્તર બુનિયાદી કણજોડ ખાતે યોજાયેલા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે તેમના હસ્તે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧, ધોરણ-૯ અને ધોરણ-૧૧માં કુલ ૧૨૫ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નામાંકન (પ્રવેશ) કરાવવામાં આવ્યું હતું. પ્રવેશ મેળવનાર ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની કામના કરી હતી.
શ્રીમતી તોરવણેએ શાળાના શૈક્ષણિક વાતાવરણ, વિવિધ સુવિધાઓ તથા વિદ્યાર્થીઓના અભ્યાસ અંગે માહિતી મેળવી હતી. તેમણે બાળકો સાથે આત્મીય સંવાદ સાધી અભ્યાસ પ્રત્યે ઉત્સાહ વધાર્યો હતો તેમજ શિક્ષકો અને શાળા પરિવારને ગુણવત્તાયુક્ત શિક્ષણ માટે પ્રેરણા આપી હતી.
કાર્યક્રમ દરમિયાન શાળા સંચાલક મંડળ તથા એસ.એમ.સી. (SMC)ના સભ્યો સાથે બેઠક યોજી બાળકોના સર્વાંગી વિકાસ, શિક્ષણની ગુણવત્તામાં વધારો અને શૈક્ષણિક સુવિધાઓ વધુ સુદ્રઢ બનાવવા અંગે જરૂરી માર્ગદર્શન અને રચનાત્મક સૂચનો આપ્યા હતા.
અંતમાં, શ્રીમતી નિપુણા એમ. તોરવણેના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
