સાપુતારાથી ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન પથ : રૂ. ૪૫.૪૨ કરોડના ખર્ચે ૨૯.૫૦ કિમી લાંબા રોડ વાઈડનીંગ કામનો પ્રારંભ ; તાપી જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી થશે

વિશ્વપ્રસિદ્ધ પ્રવાસન ધામોને જોડતી કડી : સાપુતારા અને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન પથથી તાપી જિલ્લામાં રોજગારીની નવી તકો ઉભી થશે
—
તાપી જિલ્લાના બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડનું નવીનીકરણ : ૮ થી વધુ ગામોની ૧૨,૭૦૦ વસ્તીને સીધો લાભ
—
સોનગઢ, ઉકાઈ અને સાગબારા જોડાશે : તાપી-નર્મદા વચ્ચે વાહનવ્યવહાર વધુ સુરક્ષિત અને ઝડપી બનશે
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૬ :- દક્ષિણ ગુજરાતના પ્રવાસનના વિકાસ માટે અને અંતરિયાળ વિસ્તારોના આર્થિક-સામાજિક ઉત્થાન માટે રાજ્ય સરકાર દ્વારા સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ અંતર્ગત એક મહત્વપૂર્ણ માર્ગના નવીનીકરણ હાથ ધરાયો છે.
તાપી જિલ્લામાં આવેલા બોરદા-સાતકાશી-શેરૂલ્લા રોડના વાઈડનીંગ (પહોળો કરવા) અને સ્ટ્રેન્ધનીંગ (મજબૂતીકરણ) ના કામને મંજૂરી આપી દેવામાં આવી છે. રૂ. ૪૫.૪૨ કરોડના અંદાજિત ખર્ચે સાકાર થનારો આ પ્રોજેક્ટ દક્ષિણ ગુજરાતની કનેક્ટિવિટીમાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
હાલમાં આ રોડની લાઈન-પહોળાઈ ૭.૫૦ મીટર છે, જેને વધારીને ૧૦.૦૦ મીટર પહોળો કરાયો છે. આ માર્ગની કુલ લંબાઈ ૨૯.૫૦ કિલોમીટર છે. આ રસ્તો વળાંક અને ઢોળાવવાળા ડુંગરાળ વિસ્તારોમાંથી પસાર થતો હોવાથી વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ ‘કવ્ડ ઇમ્પ્રૂવમેન્ટ’ કરવામાં આવશે. આ ઉપરાંત, રસ્તાની સાઈડમાં પ્રોટેક્શન દીવાલ, ક્રેશ બેરિયર અને સાઈનેજ લગાવવામાં આવશે, જેથી વાહનવ્યવહાર વધુ સુરક્ષિત, સરળ અને ઝડપી બનશે.
આ રસ્તો માત્ર પરિવહનનું માધ્યમ નથી, પરંતુ નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમ પાસે સ્થિત દેશની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ જે વડાપ્રધાનશ્રીના સ્વપ્નદ્રષ્ટિથી સાકાર થઈ છે, અને ડાંગ જિલ્લાના સુબીર પાસે આવેલા પ્રાચીન ધાર્મિક સ્થળ શબરીધામ’ થઈને સુપ્રસિદ્ધ પર્યટક સ્થળ સાપુતારા સુધીના રસ્તાને જોડતી ખૂબ જ અગત્યની કડી પૂરવાર થશે. આ રોડ બનવાથી સાપુતારા સહિતના મહત્વપૂર્ણ ધાર્મિક અને પર્યટન સ્થળો પર પ્રવાસીઓની અવરજવરમાં મોટો વધારો થશે.

આ નવો માર્ગ બનવાથી તેની સરહદમાં આવતા શેરૂલ્લા, બાવલી, ભટવાડા, જૂની કુઈલીવેલ, સાતકાશી, આમલપાડા, કુઈલીવેલ તથા બોરદા જેવા અંતરિયાળ ગામોની અંદાજે ૧૨,૭૮૦ જેટલી વસ્તીને પ્રત્યક્ષ રીતે લાભ મળશે. આ ઉપરાંત તાપી અને સાગબારા જિલ્લાની અન્ય પ્રજાને પણ પરોક્ષ રીતે મોટો ફાયદો થશે.
સોનગઢ, ઉકાઈ અને સાગબારા જેવા તાલુકાઓને જોડતા આ મુખ્ય રાજ્ય ધોરીમાર્ગ બનવાને કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, પર્યટકો, નાના-મોટા વ્યવસાયો અને સ્થાનિક ઉદ્યોગોને વેગ મળશે. ‘સ્વસ્થ અને સમૃદ્ધ ગુજરાત’ ના વિઝનને સાકાર કરતા આ પ્રાદેશિક વિકાસના કાર્યથી સ્થાનિક રોજગારીની નવી તકો ઉભી થશે.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
