માત્ર ૧૪ દિવસમાં અશક્ત બાળકોના ચહેરા પર મુસ્કાન આપતું વાલોડનું બાળ સેવા કેન્દ્ર

વાલોડ CMTC ૧૭ મહિનામાં ૨૦૦ બાળકો માટે બન્યું ‘સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ’
—
સારવાર દરમિયાન માતા-બાળકને મફત ભોજનની સાથે રૂ. 3,000 ની સહાય
—
૭ કિલો વજન ધરાવતી મારી બાળકીના સ્વાસ્થ્યમાં ૧૪ દિવસમાં નોંધપાત્ર સુધારો થયો – લાભાર્થી નીલમબેન રાઠોડ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 03 : પરિવાર ગમે તેટલો ગરીબ હોય, પણ ઘરના આંગણામાં કિલકિલાટ કરતું બાળક એ જ તેની સૌથી મોટી મૂડી છે. પણ જ્યારે એ જ સ્મિત પાછળ કુપોષણનું ગ્રહણ લાગે, ત્યારે એક મા-બાપના દિલ પર શું વીતતી હશે તેની કલ્પના ધ્રુજાવી મૂકે તેવી હોય છે. તાપી જિલ્લાના વાલોડ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલું ‘બાળ સેવા કેન્દ્ર’ (CMTC) આજે આવા બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત પરિવારો માટે આશાની નવી કિરણ બનીને ઉભર્યું છે.
આ કેન્દ્રની વિશેષતા માત્ર બાળકની સારવાર પૂરતી મર્યાદિત નથી. અહીં બાળકની સાથે રહેતી માતાને પણ પોષણ, સ્વચ્છતા અને બાળકની યોગ્ય સંભાળ અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવે છે. પૌષ્ટિક ખોરાક બનાવવાની સરળ પદ્ધતિઓ શીખવવામાં આવે છે, જેથી બે અઠવાડિયા પછી બાળક ઘરે પરત ગયા બાદ પણ તેના સ્વાસ્થ્યમાં સતત સુધારો જળવાઈ રહે. સારવાર પૂર્ણ થયા બાદ આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા નિયમિત ઘર મુલાકાત લઈને બાળકના વિકાસ પર નજર રાખવામાં આવે છે.
ગરીબ અને રોજનું કમાઈને રોજ ખાતા શ્રમિક પરિવારોને સ્વાભાવિક રીતે એવું લાગતું હશે કે, બાળકને તંદુરસ્ત કરવા માટે જો બે અઠવાડિયા સુધી હોસ્પિટલમાં બેસી રહીશું તો કામ બંધ થઈ જશે અને ઘરનો ચૂલો કેમ સળગશે?
ગરીબોની આ જ ચિંતા સમજીને સરકારે આવા માતા-પિતાના પડખે આવી છે. અહીં ૦ થી ૫ વર્ષના અતિ કુપોષિત ( સિવીયર એક્યુટ માલન્યુટ્રિશન – SAM ) બાળકોને પૂરા બે અઠવાડિયા સુધી નિષ્ણાતોની સીધી દેખરેખ હેઠળ રખાય છે, જ્યાં બાળકની સાથે રહેનાર માતા માટે શુદ્ધ અને પૌષ્ટિક ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત, મજૂરી બંધ થવાના વળતર તરીકે સરકાર સીધી આર્થિક મદદ કરે છે
આ અંગે કેન્દ્રના ન્યુટ્રિશન આસિસ્ટન્ટ મનિષાબેન ચૌધરીએ જણાવ્યું કે, વાલોડ બાળ સેવા કેન્દ્રમાં અતિ ગંભીર કુપોષિત બાળકોને ૧૪ દિવસ સુધી નિષ્ણાતોની દેખરેખ હેઠળ રાખીને જરૂરી તબીબી સારવાર, સતત આરોગ્ય નિરીક્ષણ અને વિશેષ પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવે છે, જેના કારણે તેમના શારીરિક વિકાસમાં નોંધપાત્ર સુધારો થાય છે. બાળકની સાથે રહેતી માતાને મફત ભોજન ઉપરાંત રોજગારના નુકસાન પેટે રૂ. ૨,૮૦૦ અને પરિવહન ખર્ચ પેટે રૂ. ૨૦૦ મળીને કુલ રૂ. ૩,૦૦૦ની આર્થિક સહાય આપવામાં આવે છે. આ સર્વાંગી અને સંવેદનશીલ વ્યવસ્થાના પરિણામે અનેક બાળકો કુપોષણમાંથી બહાર આવી સ્વસ્થ અને તંદુરસ્ત જીવન તરફ આગળ વધી રહ્યા છે.
આ કેન્દ્રમાં બુહારી ગામના લાભાર્થી માતા નીલમબેન કરણભાઈ રાઠોડ અને તેમની બાળકી છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં નીલમબેને જણાવ્યું કે, મારી બાળકીનું વજન ખૂબ ઓછું હોવાથી અમે વાલોડ બાળ સેવા કેન્દ્રમાં આવ્યા હતા. જ્યારે અહીં દાખલ થયા ત્યારે તેનું વજન માત્ર ૭ કિલો ૮૦ ગ્રામ હતું. અહીં મળેલી સારવાર, સમયસર દૂધ અને પોષણયુક્ત આહાર તેમજ અમને માતાઓને મળતી દાળ-ભાત, શાક અને રોટલી જેવી સગવડના કારણે મારી બાળકીના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો છે. હવે તેનું વજન વધીને ૭ કિલો ૫૮૦ ગ્રામ થઈ ગયું છે. અહીંની સેવા અને વ્યવસ્થા બદલ હું સરકાર અને આરોગ્ય વિભાગનો આભાર માનું છું.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવાએ જણાવ્યું કે, વાલોડ સીએચસી ખાતે કાર્યરત બાળ સેવા કેન્દ્ર (CMTC) અતિગંભીર કુપોષિત બાળકોને ગુણવત્તાયુક્ત સારવાર અને પૌષ્ટિક આહાર પૂરો પાડી તેમને સ્વસ્થ જીવન તરફ આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આરોગ્ય વિભાગના સંકલિત પ્રયાસોથી બાળકોના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે, જે સમગ્ર જિલ્લા માટે આનંદની બાબત છે.
આંકડાકિય વિગતો તરફ નજર કરીએ તો, જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૬ દરમિયાન કુલ ૨૦૦ જેટલા જરૂરિયાતમંદ વાલીઓએ પોતાના બાળકોની આરોગ્ય સુરક્ષા અને સુખાકારી માટે આ કેન્દ્રની મુલાકાત લઈ ઉપલબ્ધ સેવાઓનો લાભ મેળવ્યો છે અને કેન્દ્રની ઉત્કૃષ્ટ વ્યવસ્થા બદલ સંતોષ વ્યક્ત કર્યો છે.
આલેખન – સંગીતા ચૌધરી
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
