શાહુકારોને ઓડિટ રિપોર્ટ તથા પત્રકો નિયમિત જમા કરાવવા અનુરોધ

શાહુકારોને ઓડિટ રિપોર્ટ તથા પત્રકો નિયમિત જમા કરાવવા અનુરોધતાપી જિલ્લાના તમામ શાહુકારોએ ગુ.ના.ધિ.અ. ૨૦૧૧ હેઠળ પારદર્શક નાણાંકીય વ્યવહાર કરવાના રહેશે – જિલ્લા રજિસ્ટ્રાર, તાપી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. ૨૫.:- ગુજરાત નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ હેઠળ તાપી જિલ્લામાં નોંધાયેલા તમામ ૩૧ શાહુકારો કાયદાકીય માળખા અને નિયમોને આધીન રહી પારદર્શક રીતે નાણાંકીય વ્યવહારો કરે તે અત્યંત આવશ્યક છે. લોકોની જરૂરિયાત મુજબ ધિરાણ પૂરું પાડતાં તમામ શાહુકારોએ નિર્ધારિત દરો અને જોગવાઈઓનું પાલન કરવાનું રહે છે.
અધિનિયમની જોગવાઈઓ અનુસાર તારણવાળા ધિરાણ માટે વાર્ષિક ૧૨ ટકા અને તારણ વિનાના ધિરાણ માટે ૧૫ ટકા સુધીના વ્યાજ દર નક્કી કરાયા છે. ગુ.ના.ધિ.અ.ના કાયદાની કલમ ૨૩(૧) મુજબ દરેક નાણાંકીય વર્ષ દરમિયાન થયેલા ધિરાણના હિસાબોનું સમયસર ઓડિટ કરાવવાનું રહેશે.
શાહુકારો દ્વારા કલમ ૨૧ (૧) અંતર્ગત તમામ માસિક હિસાબો અને પત્રકો રજુ કરવાના હોય છે. પરંતુ માસિક હિસાબો અને પત્રકો સંબંધિત કચેરીએ રજુ ન થતાં નાણાં ધિરધાર અધિનિયમની કલમ ૪૪ નું ઉલ્લંઘન તેમજ ગંભીર બાબત જણાય છે.
વધુમાં, રૂ. ૫૦ લાખથી ઓછું ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ખાતાના વૈધાનિક ઓડિટર પાસે અને રૂ. ૫૦ લાખથી વધુ ટર્નઓવર ધરાવતા શાહુકારોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાસે દર વર્ષે ઓડિટ કરાવીને તેનો રિપોર્ટ કચેરીમાં રજૂ કરવાનો રહેશે.
શાહુકારો પોતાની કાયદાકીય જવાબદારીઓનું યોગ્ય રીતે પાલન સુનિશ્ચિત કરી શકે તેવા આશય સાથે સૂચનાઓનું પાલન ન થયું હોય તેવા કિસ્સામાં (દિન-૭) ત્વરિત ધોરણે સત્તાવાર સ્પષ્ટતા અને ખુલાસો રજૂ કરવા જણાવવામાં આવ્યું છે. નિયત સમયમર્યાદામાં ખુલાસો કે ઓડિટ રિપોર્ટ રજૂ ન થવાના કિસ્સામાં નાણાં ધિરધાર અધિનિયમ-૨૦૧૧ ની નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, તાપી દ્વારા પ્રાપ્ત અખબારી યાદીમાં જણાવાયું છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
_______________
