એસ.ઓ.જી. તાપી દ્વારા વ્યારાના APMC માર્કેટ ખાતે NDPS અવેરનેસ કાર્યક્રમ યોજાયો

નશીલા પદાર્થોના ગેરકાયદે ઉપયોગ અને હેરાફેરીથી દૂર રહેવા અંગે લોકોને જાગૃત કરાયા
વ્યારા, તા. ૨૦ ઓગસ્ટ, ૨૦૨૬: નશીલા પદાર્થોના ગેરકાયદે સેવન, વેચાણ અને હેરાફેરી સામે જાગૃતિ ફેલાવવાના હેતુથી એસ.ઓ.જી. તાપી દ્વારા વ્યારા ખાતે આવેલ APMC માર્કેટ યાર્ડમાં NDPS અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત વેપારીઓ, કામદારો, ખેડૂતો તથા અન્ય નાગરિકોને નશીલા પદાર્થોના સેવનથી વ્યક્તિના સ્વાસ્થ્ય, પરિવાર અને સમાજ પર થતી ગંભીર અસરો અંગે સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને યુવાનો નશાની લતથી દૂર રહે અને નશામુક્ત જીવનશૈલી અપનાવે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
NDPS કાયદા અંગે પણ અપાઈ સમજ
જાગૃતિ કાર્યક્રમમાં નશીલા પદાર્થો અંગેના કાયદાકીય પાસાઓ તથા NDPS Act (Narcotic Drugs and Psychotropic Substances Act) હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદે કબજા, વેચાણ, પરિવહન અને હેરાફેરી સામે થતી કાયદેસરની કાર્યવાહી અંગે માહિતી આપવામાં આવી હતી.
એસ.ઓ.જી. તાપી દ્વારા નાગરિકોને નશીલા પદાર્થોથી દૂર રહેવા તેમજ આસપાસના વિસ્તારમાં આવી કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ અંગે માહિતી મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી હતી.
નશામુક્ત સમાજ માટે સહિયારા પ્રયાસની હાકલ
નશાની લત વ્યક્તિના જીવનને બરબાદ કરવાની સાથે સમગ્ર પરિવાર અને સમાજ માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. તેથી નશાના દુષણ સામે માત્ર પોલીસ જ નહીં, પરંતુ નાગરિકો, વેપારીઓ, ખેડૂતો, યુવાનો અને સામાજિક સંસ્થાઓની સહભાગિતા પણ જરૂરી હોવાનું સમજાવવામાં આવ્યું હતું.
વ્યારા APMC માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “નશાથી દૂર રહો, જીવનને સુરક્ષિત અને સ્વસ્થ બનાવો તેમજ નશામુક્ત સમાજના નિર્માણમાં સહભાગી બનવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
______________
