ગાયત્રી પરિવાર દ્વારા ઓલપાડનાં અસનાડ ગામે ગૃહે ગૃહે યજ્ઞ અભિયાન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૧૫. યુગ નિર્માણ ગાયત્રી પરિવાર, હરિદ્વાર દ્વારા 2026 નાં વર્ષને પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યની સાધનાનાં, અખંડ દીપ પ્રાગટયનાં તથા પરમ વંદનીય ભગવતી માતાજીનાં અવતરણનાં ત્રિવેણી સંગમ તરીકે ઉજવવાનો સંકલ્પ કરેલ છે. જેનાં ભાગરૂપે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારનાં જન જાગરણ અભિયાન અંતર્ગત ગૃહે ગૃહે ગાયત્રી યજ્ઞ અને હર ઘર યજ્ઞ પરિયોજના શ્રૃંખલા અન્વયે ઓલપાડ તાલુકાનાં અસનાડ ગામમાં 100 થી વધુ ઘરોમાં સુરતનાં રાંદેર રોડ, તાડવાડી સ્થિત શક્તિપીઠ તથા મોરાભાગળ ગાયત્રી પ્રજ્ઞા પીઠનાં સંયુકત ઉપક્રમે ગાયત્રી પરિજનો દ્વારા ઘરે ધરે જઈને સંસ્કારી પેઢીનાં સંકલ્પ દ્વારા દેવ સંસ્કૃતિની પુનઃ સ્થાપના કરી, સશક્ત અને સમર્થ સનાતની રાષ્ટ્ર નિર્માણ કાજે લઘુ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ સાથે પરમ પૂજ્ય પંડિત શ્રીરામ શર્મા આચાર્યનાં સુવિચારોનું સિંચન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે મોરાભાગળ ગાયત્રી પ્રજ્ઞા પીઠનો આ નવમો ગૃહે ગૃહે ગાયત્રી લઘુ યજ્ઞ છે. અસનાડ ગામ સહિત સમસ્ત ગાયત્રી પરિવારનાં કાર્યકર્તાઓ અને સાથી મિત્રોનો કાર્યક્રમનાં કર્તાહર્તા એવાં ગામનાં મૂળ વતની આશિષ દેસાઈએ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
