પ્રાકૃતિક કૃષિ અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં ખેડૂતો સાથે સીધો સંવાદ સાધતા કલેક્ટરશ્રી દેવ ચૌધરી

ખેતીના પાકોમાં વેલ્યુ એડિશન અને વેચાણ વ્યવસ્થા ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરાઈ
—
તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને તે માટે તંત્ર કટિબદ્ધ: કલેક્ટર દેવ ચૌધરી
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 29. :- તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાના આશય સાથે, સોમવારે કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ઉપસ્થિત ખેડૂતો સાથે સીધો સંવાદ સાધીને તેમની ખેતીના વિસ્તાર, પડકારો અને વેચાણ વ્યવસ્થા અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ પ્રસંગે કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના અભિયાનમાં અગ્રેસર બને તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. ખેડૂતો માત્ર તાલીમ મેળવીને અટકી ન જાય, પરંતુ સફળતાપૂર્વક આ ખેતી અપનાવે ત્યાં સુધી તેમનું સતત ફોલોઅપ લેવા અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા તેમણે ‘આત્મા પ્રોજેક્ટ’ના અધિકારીઓને દિશા-નિર્દેશ કર્યો હતો.
આ બેઠકમાં ખેડૂતો સાથે ભવિષ્યમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના યોગ્ય વેચાણ અને મૂલ્યવર્ધન માટે માર્કેટિંગ સિસ્ટમ ઊભી કરવા અંગે પણ પ્રાથમિક અને વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ બેઠકમાં પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોના મંતવ્યો અને પ્રતિભાવો જાણીને કલેક્ટરશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો.
આ બેઠકમાં આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટરશ્રી અલ્કેશભાઈ પટેલ તેમજ વ્યારા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો. સી.ડી. પંડ્યા સહિત જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા સફળ ખેડૂતો, આત્માનો સ્ટાફ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
