આદિજાતિ વિકાસ વિભાગ અને સુમુલ ડેરીની સહાયથી ડોલવણની ચંદ્રિકાબેન બની આત્મનિર્ભર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.01 :- રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને સહકારી ક્ષેત્રના સમન્વયથી છેવાડાના આદિવાસી પરિવારો આજે આર્થિક રીતે પગભર બની રહ્યા છે. જેનું જીવંત ઉદાહરણ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના લાભાર્થી ચંદ્રિકાબેન બીપીનભાઈ પટેલ પૂરૂં પાડે છે.
વાલોડના નાલોઠા ખાતે યોજાયેલા ‘આદર્શ નિવાસી શાળા (મિશ્ર)’ ના ખાતમૂહૂર્ત કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલના હસ્તે ચંદ્રિકાબેનને પશુપાલન સહાયનું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ વિભાગ, પ્રાયોજના કચેરી-સોનગઢ અને સુરત-તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિ. (સુમુલ ડેરી) દ્વારા અમલીકૃત આ યોજના હેઠળ તેમને દુધાળા પશુ ખરીદવા માટે રૂ. 58,000ની સહાય આપવામાં આવી હતી.
આ સહાય અંગે પ્રતિભાવ આપતા ચંદ્રિકાબેને જણાવ્યું કે, સરકાર અને સુમુલ ડેરીના સહયોગથી મળેલી આ આર્થિક મદદ મારા પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. પશુપાલન દ્વારા હવે મને નિયમિત આવક પ્રાપ્ત થશે, જે મારા પરિવારના ગુજરાન અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યમાં મદદરૂપ બનશે.
નોંધનીય છે કે, આદિજાતિ વિસ્તારોમાં પશુપાલન એ આજીવિકાનું મુખ્ય સ્ત્રોત છે. પ્રાયોજના વહીવટદાર કચેરી અને સુમુલ ડેરી દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવતી આ યોજનાથી અનેક આદિવાસી મહિલાઓ પશુપાલન તરફ વળી છે, જેનાથી શ્વેત ક્રાંતિની સાથે સાથે ‘નારી સશક્તિકરણ’ના ઉમદા હેતુને પણ વેગ મળી રહ્યો છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
