ઓલપાડની કરમલા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ ગીતાનું વિતરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની કરમલા પ્રાથમિક શાળામાં શ્રીમદ્ ભગવદ ગીતા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સદર કાર્યક્રમમાં કરમલા ગામનાં વતની અને હાલ અમેરિકામાં રહેતાં દલપતકાકા દ્વારા પોતાનાં સ્વર્ગસ્થ પુત્ર કીર્તિકાંત ઉર્ફે કિરીટભાઈનાં સ્મરણાર્થે શાળાનાં ધોરણ ૬ થી ૮ તમામ વિદ્યાર્થીઓ સહિત શિક્ષકગણને ઈસ્કોન મંદિરનાં ભાવિક ભક્ત વિનોદભાઈ ગોહિલ તથા અન્ય અનુયાયી ભક્તોનાં વરદ હસ્તે શ્રીમદ્ ભગવદ ગીતા વિતરણ કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ તથા તેમનાં પરિવાજનોમાં હિન્દુ ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તથા ગ્રંથનાં વાંચન થકી તેઓ નીજ જીવનમાં આવતી સમસ્યાઓનો સાનુકૂળ ઉકેલ લાવી શકે એવાં ઉમદા ભાવ સાથે વિતરીત કરવામાં આવેલ ૧૦૦ જેટલાં અંદાજિત રૂપિયા ૨૫,૦૦૦ ની માતબર કિંમતનાં દળદાર ધર્મગ્રંથનાં દાતા દલપતકાકા તથા ઈસ્કોન મંદિરમાંથી પધારેલ અનુયાયી ભક્તજનોનો શાળાનાં આચાર્ય નિલેશભાઈ પટેલે હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
