“જનજાતિ સમુદાયની પ્રકૃતિ સાથે જોડાયેલી જીવનશૈલી સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી” – સુરજભાઈ વસાવા
નિઝર-૧૭૨ વિધાનસભાનો જનજાતિ ગૌરવ કાર્યક્રમ સોનગઢ ખાતે ઉજવવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫ નવેમ્બર: આજરોજ “જનજાતિ ગૌરવ દિવસ” નિમિત્તે, ૧૭૨-નિઝર વિધાનસભા મતવિસ્તારની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી સોનગઢ ખાતે સાર્વજનિક હાઈસ્કુલના મેદાનમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભગવાન બિરસા મુંડા સહિત તમામ જનજાતિ નાયકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આદિવાસી સંસ્કૃતિના ગૌરવને બિરદાવવામાં આવ્યું હતું.
આ ભવ્ય કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સુરજભાઈ વસાવા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું કે, ” ભગવાન બિરસા મુંડાના જન્મને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તેમણે કરેલા કાર્યોને બિરદાવવા, એમને શ્રદ્ધાંજલિ આપવા અને તેમના વિચારો લોકો સુધી પહોચે તે માટેઆજના દિનને જનજાતિ ગૌરવ દિન તરીકે ઉજવવાનું નક્કી કરીને સમગ્ર આદિવાસી સમાજનું સન્માન કર્યું છે. જનજાતિ સમુદાય પ્રકૃતિ સાથે જોડાયેલ છે અને તેમની જીવનશૈલી, તેમની સાદગી અને સંસ્કૃતિનું જતન કરવાની રીત સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી છે. આદિવાસી ગૌરવ એ જ રાષ્ટ્રનું ગૌરવ છે. એટલા માટે આ ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવે છે”
આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર જયંતસિંહ રાઠોડ, આસી. કલેકટરઓમકાર શિંદે, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક ખ્યાતી પટેલ અતિથિ વિશેષ તરીકે હાજરી આપી હતી. મહાનુભાવોએ જનજાતિ સમાજના ઇતિહાસ અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ અવસરે, આદિવાસી પરંપરાગત નૃત્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત, જનજાતિ સમુદાયની વિશિષ્ટ પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું અને સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરાયું હતું.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
