શાહપોરના પ્રાકૃતિક ખેતી કરતાં નટુકાકાને મળ્યો વાવણી સમયે સહારો

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રૂ. ૬૦૦૦ ની વાર્ષિક સહાય બદલ નટુકાકાએ સરકારનો આભાર માન્યો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 15. : ખેડૂત માટે વાવણીની મોસમ ખૂબ જ મહત્વની હોય છે. આ સમયે બીજ, ખાતર અને અન્ય ખેતી માટેની સામગ્રીની જરૂર પડે છે. જોકે, ખેતીમાંથી આવક પાક તૈયાર થયા પછી જ મળતી હોવાથી શરૂઆતના ખર્ચની ચિંતા ખેડૂતોને સતાવતી હોય છે.
તાપી જિલ્લાના વ્યારા તાલુકાના શાહપોર ગામના ખેડૂત શ્રી નટુભાઈ ઠાકોરભાઈ ગામીત પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરતા હતા. છેલ્લા પાંચ વર્ષથી તેઓ પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ઉપયોગમાં લેવાતા ગોળ, બેસન અને અન્ય જરૂરી સામગ્રી ખરીદવા તેમજ વાવણી સમયે તેમણે નાણાંકિય પડકારોનો સામનો કરવો પડતો હતો.
આવા સમયે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના તેમના માટે મદદરૂપ બની છે. આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર વર્ષે રૂ.૬૦૦૦ ની સહાય ત્રણ હપ્તામાં સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. આ સહાયથી ખેડૂતો ખેતીના પ્રારંભિક ખર્ચને પહોંચી વળવામાં સક્ષમ બની રહ્યા છે.
આ નટુભાઈ ગામીતે જણાવ્યુ કે, પીએમ કિસાન યોજના હેઠળ મળતી સહાય વાવણીના સમયે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જરૂરી સામગ્રી સમયસર ખરીદી શકું છું અને ખેતીના ખર્ચ માટે વધારે ચિંતા રહેતી નથી. આ સહાયથી ખેતીનું આયોજન કરવામાં સરળતા રહે છે. મારા જેવા નાના ખેડૂતો માટે આ યોજના ખૂબ લાભદાયી છે. ખેડૂતોને સીધી આર્થિક સહાય આપતી આ યોજના માટે હું સરકારનો આભાર માનું છું.
નટુભાઈ માટે આ યોજના માત્ર આર્થિક સહાય નથી, પરંતુ સમયસર મળતો સહારો છે. આ યોજનાના કારણે તેમની સાથે અનેક ખેડૂતો ખેતીના કામો વધુ સારી રીતે કરી રહ્યા છે અને પ્રાકૃતિક ખેતીના પોતાના પ્રયાસોને આગળ વધારી રહ્યા છે.
આજે પીએમ કિસાન સન્માન નિધી યોજના દેશના લાખો ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે. સમયસર મળતી આર્થિક સહાય ખેડૂતોને ખેતીના ખર્ચમાં મદદ કરે છે અને આત્મવિશ્વાસ સાથે ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
