ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.0૯ જુન. રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અનુસાર તાપી જિલ્લાની કુલ-૯૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/પેટા ચૂંટણી યોજાનાર છે. જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.
ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન આદર્શ આચારસહિંતાનો અમલ કરવા ધાર્મિક સ્થળોનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ ન થાય તે અંગેના નિયંત્રણ રાખવાની જરૂર જણાતાં તાપી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.આર. બોરડે તેમને મળેલ સત્તાની રૂઇએ ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં ચૂંટણી પ્રચાર માટે ધાર્મિક સ્થળોના ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
જાહેરનામાં મુજબ ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન કોઇ ઉમેદવારે તથા તેમના કાર્યકરો, સમર્થકોએ ભાષણો,પોસ્ટરો સંગીત વગેરે સહિત મંદિરો, મસ્જીદો, ચર્ચ, ગુરૂઘ્વારા અથવા કોઇ પણ પ્રકારના પ્રાર્થના સ્થળોનો ચુંટણી પ્રચાર માટે ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ આગામી તા.૨૭/૦૬/૨૦૨૫ના કલાક ૨૪.૦૦ સુધી અમલમાં રહેશે.હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
0000
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.