વ્યારા શ્રીરામ તળાવ ગાર્ડન દીવડાઓની રોશનીથી ઝગમગ્યું: વડાપ્રધાનશ્રીના ૨૫ વર્ષના સુશાસનને વધાવતા વ્યારાવાસીઓ

વ્યારા ખાતે ભવ્ય આશીર્વાદનો દીપ અને મહાઆરતી યોજાઈ
—
જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ: વ્યારા ખાતે ૭૬૦૦ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી મહાઆરતી કરાઈ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૭. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તેમજ તેમના જાહેર જીવનમાં જનસેવાથી રાષ્ટ્રસેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે વ્યારા નગરપાલિકાના શ્રીરામ તળાવ ગાર્ડન ખાતે ‘આશીર્વાદનો દીવડો’ અને મહાઆરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે હજારો નાગરિકોએ એકઠા થઈને ૭૬૦૦ ‘આશીર્વાદનો દીપ’ પ્રગટાવી સમગ્ર ગાર્ડન પરિસરને રોશનીથી ઝગમગાવી દીધું હતું.
સાંજની ઢળતી સંધ્યાએ પ્રગટાવવામાં આવેલા આ દીવડાઓએ સુશાસનનો પ્રકાશ પાથરી અનોખું વાતાવરણ સર્જ્યું હતું. વડાપ્રધાનશ્રીના મુખ્યમંત્રી અને વડાપ્રધાન તરીકેના ૨૫ વર્ષના સમર્પણને બિરદાવવા માટે નાગરિકો દ્વારા ૭૬૦૦ દીપની માનવસાંકળ રચવામાં આવી હતી.
ઉપસ્થિત સૌ લોકોએ ક્ષણિક સમય માટે મોબાઈલ ટોર્ચ થકી અદ્ભૂત દ્રશ્ય સર્જયું હતું. વધુમાં સૌએ સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી તથા વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ અને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
આ અવસરે રાજ્યભરમાં આજથી એક મહિના સુધી ચાલનારા ‘સેવા સંકલ્પ અભિયાન’ની વિધિવત શરૂઆત કરવામાં આવી છે, જેના હેઠળ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થશે.
ગાર્ડન ખાતે યોજાયેલા આ પ્રોગ્રામમાં જિલ્લા અગ્રણી સુરજભાઈ વસાવા, વ્યારા નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયા પટેલ, જિલ્લા કલેકટર દેવ ચૌધરી, પોલીસવડા જે. એન. દેસાઈ, પ્રાયોજના વહીવટદાર રાજેશકુમાર મૌર્ય, નિવાસી અધિક કલેકટરશ્રી આર. આર. બોરડ સહિત સ્થાનિક હોદ્દેદારો, અધિકારીઓ તેમજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
