₹ 105 લાખનાં માતબર ખર્ચે નિર્માણ પામેલ ઓલપાડ તાલુકાની ટકારમા પ્રાથમિક શાળાની નવનિર્મિત ઈમારતનું ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં હસ્તે લોકાર્પણ

સ્વચ્છ શાળામાં સરસ્વતીનો વાસ અને તેની મહેર હરહમેશ હોય છે: મુકેશભાઈ પટેલ
ઉદ્દઘાટન પ્રસંગે બાળકો સમક્ષ પર્યાવરણ જતન અને રક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા. ૧૩. પવિત્ર શ્રાવણ માસનાં પ્રારંભે ઓલપાડનાં ટકારમા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત સરકારી પ્રાથમિક શાળાની નવનિર્મિત ઈમારતની લોકાર્પણ વિધિ ઓલપાડનાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલનાં વરદ હસ્તે યોજવામાં આવી હતી. ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગનાં સમગ્ર શિક્ષા અંતર્ગત નિર્માણ પામેલ આ નવીન ઈમારતનાં લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે શાળાનાં આચાર્ય રવિન્દ્ર પટેલે સૌનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. સદર કાર્યક્રમમાં ઓલપાડ ભાજપ પ્રમુખ કુલદીપસિંહ ઠાકોર, મહામંત્રી સુનિલભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ બ્રિજેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પિયુષભાઈ પટેલ, ઉપપ્રમુખ મેઘનાબેન પટેલ, કારોબારી અધ્યક્ષ ભાવેશભાઈ નાતાલી, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ નિરીક્ષાબેન રાઠોડ, દંડક અમરતભાઈ રાઠોડ, શાસક પક્ષ નેતા કિરીટભાઈ પટેલ સહિત આસપાસનાં ગામોનાં સરપંચો, પ્રાથમિક શાળાનાં આચાર્યો, શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં અધ્યક્ષ હાર્દિક પટેલે સમગ્ર શિક્ષા થકી શાળાઓની માળખાગત સુવિધાઓ તથા બાળકોનાં ગુણવત્તાયુક્ત શિક્ષણ વિશે છણાવટ કરી નવનિર્મિત શાળાની યોગ્ય જાળવણી માટે ગ્રામજનોને હાકલ કરી હતી. કાર્યક્રમનાં અધ્યક્ષ એવાં ધારાસભ્ય મુકેશભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓની અદ્યતન ઉપલબ્ધ સુવિધાઓ સહિત વિદ્યાર્થીઓનાં સર્વાંગી વિકાસ માટેની યોજનાઓની છણાવટ કરી હતી. આ તકે તેમણે યજમાન શાળાનાં બાળકો સાથે શાળામાં મળતી સુવિધાઓ વિષયક ગોષ્ઠિ હાથ ધરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાનાં આચાર્ય રવિન્દ્ર પટેલ અને સ્ટાફગણ, શાળા વ્યવસ્થાપન સમિતિ, રાજનગરનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ પટેલ, કેન્દ્રાચાર્ય જતીન પટેલ, ગામનાં સરપંચ મનોજ રાઠોડ સહિત રાજનગર કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી. અંતમાં બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે ઉપસ્થિતોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોલા પ્રાથમિક શાળાનાં આચાર્ય સુરેશ પટેલે કર્યુ હતું. એમ પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
