112 જનરક્ષક : સુરક્ષા, સેવા અને સહાય માટે 24×7 પ્રતિબદ્ધ – એક જ નંબર, અનેક સેવાઓ

ગાંધીનગર : તા. ૩૦. રાજ્યના નાગરિકોને કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં ઝડપી અને અસરકારક મદદ મળી રહે તે માટે ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ દ્વારા 112 જનરક્ષક ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. “નંબર એક, સેવાઓ અનેક”ના સૂત્રને સાકાર કરતી આ સેવા પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ તેમજ અન્ય તાત્કાલિક રાહત સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવી નાગરિકોને ઝડપી સહાય પૂરી પાડે છે.
કોઈપણ અકસ્માત, આગ, ગુનાખોરી, મહિલાઓ અથવા બાળકોની સુરક્ષા સંબંધિત ઘટના, તબીબી કટોકટી, કુદરતી આફત અથવા અન્ય કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં નાગરિકો માત્ર 112 નંબર પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવી શકે છે. કોલ મળતાની સાથે જ આધુનિક કંટ્રોલ રૂમમાંથી નજીકના પોલીસ વાહન, એમ્બ્યુલન્સ અથવા ફાયર બ્રિગેડને ઘટનાસ્થળે મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, જેના કારણે કિંમતી સમયની બચત થાય છે.
112 જનરક્ષક સેવા હેઠળ રાજ્યભરમાં આધુનિક ટેક્નોલોજીથી સજ્જ પોલીસ રિસ્પોન્સ વાહનો, ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને બચાવ ટીમો સતત કાર્યરત રહે છે. આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ દરેક નાગરિકને સમયસર સુરક્ષા, સેવા અને સહાય ઉપલબ્ધ કરાવવાનો છે.
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે ઇમરજન્સીની કોઈપણ પરિસ્થિતિમાં ગભરાશો નહીં અને તરત જ 112 જનરક્ષક પર સંપર્ક કરો. સાથે જ, આ સેવાનો દુરુપયોગ ન કરવા પણ અનુરોધ કરવામાં આવ્યો છે, જેથી ખરેખર જરૂરિયાતમંદ લોકોને સમયસર સહાય મળી શકે.
112 જનરક્ષકની મુખ્ય વિશેષતાઓ:
- એક જ નંબર પર પોલીસ, ફાયર અને એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓ.
- 24 કલાક અને સપ્તાહના સાતેય દિવસ કાર્યરત સેવા.
- આધુનિક ટેક્નોલોજી આધારિત ઝડપી પ્રતિસાદ વ્યવસ્થા.
- અકસ્માત, આગ, ગુનાખોરી, તબીબી કટોકટી અને અન્ય આપત્તિ સમયે તાત્કાલિક સહાય.
- સમગ્ર ગુજરાતમાં સુલભ અને વિશ્વસનીય ઇમરજન્સી સેવા.
“112 જનરક્ષક – સુરક્ષા, સેવા અને સહાય માટે હંમેશાં પ્રતિબદ્ધ.”
કોઈપણ ઇમરજન્સીની સ્થિતિમાં 112 ડાયલ કરો અને સમયસર સહાય મેળવો.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
