રાણી આંબા ખાતે ખેત બચાવો અભિયાન અંતર્ગત 250થી વધુ ખેડૂતોને વૈજ્ઞાનિક માર્ગદર્શન

કેવિકે વ્યારા અને GSFC લિ. વડોદરાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત શિબિર યોજાઈ
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 22. રાણી આંબા (તા. વ્યારા, જિ. તાપી), તા. 22 જૂન, 2026: ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR), નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર (KVK), વ્યારા તથા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC), વડોદરાના સંયુક્ત ઉપક્રમે “ખેત બચાવો અભિયાન” અંતર્ગત રાણી આંબા ગામે ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તાપી જિલ્લાના 250થી વધુ ખેડૂતો ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોને ખરીફ પાકોમાં સંતુલિત પોષણ વ્યવસ્થાપન, જમીન પરીક્ષણના આધારે ખાતરનો ઉપયોગ, સંકલિત પોષણ વ્યવસ્થાપન, જૈવિક ખાતરોના ઉપયોગ તથા જીવાત-રોગ નિયંત્રણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નિષ્ણાતોએ રાસાયણિક, જૈવિક અને સજીવ સ્ત્રોતોના સંકલિત ઉપયોગ દ્વારા ઉત્પાદન વધારવા સાથે જમીનની ફળદ્રુપતા જાળવવાના ઉપાયો સમજાવ્યા હતા.
ખાસ કરીને ડાંગર સહિતના ખરીફ પાકોમાં જીવાત અને રોગના નિયંત્રણ, ગાભમારાની ઇયળના અસરકારક નિયંત્રણ તથા પાકની જરૂરિયાત મુજબ ખાતર વ્યવસ્થાપન અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. સાથે જ ખેડૂતોને જમીન પરીક્ષણ કરાવી જરૂરિયાત મુજબ જ ખાતરોનો ઉપયોગ કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ડૉ. સી. ડી. પંડયા, ડૉ. અર્પિત જે. ઢોડિયા, ડૉ. એચ. આર. જાદવ, ડૉ. પરમેશ્વરી કે. ચૌધરી, GSFC લિ., વડોદરાના શ્રી પી. ઓ. સુરેશ તથા અન્ય ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને વિવિધ કૃષિ વિષયો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન યોજાયેલા પ્રશ્નોત્તરી સત્રમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત ખેડૂતો દ્વારા તાલીમને ઉપયોગી, વ્યવહારુ અને માર્ગદર્શક ગણાવી સકારાત્મક પ્રતિસાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
