સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી અરવિંદભાઈ ચૌધરીનો નિવૃત્તિ મંગલ ભાવના સમારોહ યોજાયો

તાલુકા, જિલ્લા સહિત રાજ્ય કક્ષાનાં સંગઠનનાં હોદ્દેદારોની ખાસ ઉપસ્થિતિ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.16. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ,સુરત સંચાલિત માંડવી તાલુકાની ફૂલવાડી પ્રાથમિક શાળાનાં આચાર્ય અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી એવાં અરવિંદભાઈ ભીખાભાઈ ચૌધરીનો નિવૃત્તિ વિદાય સન્માન કાર્યક્રમ ફૂલવાડી પ્રાથમિક શાળા ખાતે ભાવસભર વાતાવરણમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે માધ્યમિક શિક્ષણ કમિશનર કચેરી, ગાંધીનગરનાં નાયબ નિયામક જયેશભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી જૈમિનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનાં પ્રમુખ સતિષભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલ, પૂર્વ એસોસિએટ પ્રોફેસર ડો. રાયસીંગભાઈ ચૌધરી સહિત રાજ્ય સંઘનાં હોદ્દેદારો, જિલ્લા સંઘનાં ભૂતપૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, માંડવી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારો, અન્ય તાલુકા ઘટક સંઘનાં પ્રમુખ/મંત્રીઓ, કેન્દ્ર શિક્ષકો તેમજ જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં શિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મંચસ્થ મહાનુભાવોએ પોતાનાં વક્તવ્યમાં અરવિંદભાઈની લાંબી સેવા, શાંત અને હસમુખા સ્વભાવની સરાહના કરી હતી. સિનિયર ઉપપ્રમુખ કિરીટભાઈ પટેલે પણ તેમનાં મળતાવડા સ્વભાવનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ તકે અરવિંદભાઈની બંને દીકરીઓએ પણ પ્રસંગને અનુરૂપ પોતાનાં પિતા વિશે લાગણીસભર વક્તવ્ય આપ્યું હતું. અરવિંદભાઈએ પોતાનાં વક્તવ્યમાં શાળા અને સંગઠનમાં કરેલી કામગીરીનાં સંસ્મરણો વાગોળી જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં પણ હું શિક્ષણ અને સંગઠન સાથે હમેશા જોડાયેલો રહીશ જેની ખાતરી આપું છું.
આ શુભ અવસરે અરવિંદભાઈનાં પરિવાર તરફથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘને ₹ 75,000 નું માતબર દાન આપવામાં આવ્યું હતું. ઉપરાંત તેમનાં તરફથી સુરત જિલ્લા સંઘને ₹ 21,000, માંડવી તાલુકા સંઘને ₹ 11,000 અને શિક્ષક સહકારી મંડળીને પણ ₹ 11,000 નું દાન અર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવોએ અરવિંદભાઈને પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી સન્માનપત્ર સાથે બહુમાન કર્યુ હતું. ત્યારબાદ શિક્ષકગણ, મિત્રમંડળ તથા શુભેચ્છકોએ અરવિંદભાઈને વ્યક્તિગત રીતે ભેટ અર્પણ કરી સન્માનિત કર્યા હતાં.આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન યાસીનભાઈ મુલતાનીએ કર્યું હતું. એમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
