પ્રાકૃતિક ખેતીને અનુલક્ષીને ડોલવણના ખેડૂતોનો બારડોલીનો પ્રેરણા પ્રવાસ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 25 :- ગુજરાત રાજ્ય પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઉપક્રમે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્ય અંતર્ગત પ્રેરણા પ્રવાસના ભાગરૂપે મંગળવારે ડોલવણ તાલુકાના પીપલવાડા અને બેડા રાયપુરા ગામના કુલ ૫૦ ખેડૂતોએ બારડોલીના સરભોણ ખાતે મુલાકાત લીધી હતી.
આ પ્રવાસ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામો, સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યામાં વધારો કરી જમીનનું બંધારણ સુધારવાની પદ્ધતિઓ અને ખેતીમાં ઉપયોગી નવીનતમ તકનીકો વિશે નિષ્ણાતો દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
તાલીમ કાર્યક્રમના બીજા ચરણમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેત પેદાશોના સફળ વેચાણ અને માર્કેટિંગ વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી, જેથી તેઓ રાસાયણિક ખેતી છોડી ઝેરમુક્ત ખેતી તરફ વળે અને આર્થિક રીતે સમૃદ્ધ બને. કાર્યક્રમના અંતે તમામ ખેડૂતોને સરભોણ ખાતેના આદર્શ પ્રાકૃતિક ખેતી મોડેલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવવામાં આવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
