આગામી દિવસોમાં કમોસમી વરસાદથી આંબા પાકના મોર પર જોખમ, ખેડૂતોને સમયસર પગલાં લેવા બાગાયત ખાતાની અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.20 :- દક્ષિણ ગુજરાતમાં તેમજ તાપી જિલ્લામાં તા.૨૧-૦૧-૨૦૨૬ થી ૨૫-૦૧-૨૦૨૬ સુધીમાં દિવસો માં કમોસમી વરસાદના એંધાણને કારણે આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકશાન થવાની શક્યતા ઊભી થઈ છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધાણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ વધી શકે છે.
કમોસમી વરસાદથી મોર ભીનો બનીને ઝડી જવો, પરાગણ પ્રક્રિયામાં અડચણ આવવી, તેમજ પાઉડરી મિલ્ડ્યુ અને એન્થ્રાક્નોઝ જેવા રોગો ફેલાવાની શક્યતા વધી જાય છે. પરિણામે ઉત્પાદન અને ગુણવત્તા બંને પર નકારાત્મક અસર પડે છે.
ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે વરસાદ આવાના પહેલા અથવા વરસાદ બંધ થયા બાદ 24 કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ. કાર્બેંડેઝિમ (1 ગ્રામ પ્રતિ લીટર), હેક્સાકોનાઝોલ (1 મીલી પ્રતિ લીટર) અથવા વેટેબલ સલ્ફર (2 ગ્રામ પ્રતિ લીટર)માંથી કોઈ એક દવાનો ઉપયોગ કરવો લાભદાયી સાબિત થઈ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી અસર વધુ સારી મળે છે.
વરસાદ પહેલાં મોર નબળો ના પડે અથવા ફૂલ ખરી ના જાય તે માટે મજબૂતાઈ માટે બોરોન (0.2%) અને ઝીંક (0.5%) જેવા સૂક્ષ્મ પોષક તત્વોના ફોલિયર સ્પ્રે કરવાથી મોર મજબૂત બને છે.
ખેતરમાં પાણી ભરાવું ન થાય તે માટે યોગ્ય નિકાસ વ્યવસ્થા કરવી અનિવાર્ય છે. બાગાયત વિભાગની ખેડૂતોને અપીલ કરી છે કે બપોરની ગરમીમાં છંટકાવ ટાળવો, વરસાદની આગાહી મુજબ આયોજન કરવું અને દવાનો યોગ્ય માત્રામાં ઉપયોગ કરવો. સમયસર યોગ્ય પગલાં લેવાથી કમોસમી વરસાદથી થતું નુકશાન ઘણી હદ સુધી અટકાવી શકાય છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
