“રક્તપિત મટી શકે છે” : લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન અંતર્ગત તાપી જિલ્લામાં ૧૪ દિવસીય ખાસ ઝુંબેશ ચલાવવામાં આવશે

Contact News Publisher

કલેક્ટર ડો.વિપિન ગર્ગે રક્તપિતના દર્દીઓ આઈડંટીફાય કરી સધન સારવાર કરવા સૂચન કર્યું

૦૦૦૦

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આરોગ્ય વિભાગ દ્રારા રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ અંતર્ગત તાપી સહિત ૧૨ જિલ્લાઓ તેમજ વડોદરા અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમા “લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન (LCDC)“ ની ખાસ ઝુંબેશ તા.૮ ડિસેમ્બર થી ૧૪ દિવસ સુધી આશા અને ફીલ્ડ લેવલ વોલેંટીયર દ્વારા ઘરે-ઘરે મોજણી કામગીરી કરવામાં આવનાર છે આ તમામ સર્વે સુરત અને તાપી જિલ્લામાં પણ તેની શરુઆત કરવામાં આવી છે.

રાષ્ટ્રિય રક્તપિત નિર્મુલન કાર્યક્રમ (NLEP) :“લેપ્રસી કેસ ડિટેક્ટશન કેમ્પેઇન(LCDC)“ અંતર્ગત તાપી જીલ્લા કક્ષાએ ડિસ્ટ્રીકટ કો- ઓર્ડિનેશન કમીટીની મીટીંગ કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને આયોજિત કરવામાં આવી હતી. કલેક્ટર ડો. વિપિન ગર્ગે મોજણી દરમ્યાન દરેક વ્યક્તિની તપાસ કરી રક્તપિતના વધુમા વધુ વણશોધાયેલ દર્દીઓ શોધી કાઢી સારવાર હેઠળ મુકવા સુચન કર્યું હતું.

આ કામગીરી માટે સુરત જિલ્લામાં કૂલ ૧૫૨૨ ટીમ, સુરત એસ.એમ.સી. વિસ્તારમાં ૪૬૫ ટીમ તથા તાપી જિલ્લામાં કૂલ ૮૦૦ ટીમ દ્વારા ઘરના બે વર્ષ થી વધુ ઉંમરના વ્યક્તિઓની તપાસ કરવા માટે ઘરે ઘરે મુલાકાત લેશે.

આ કામગીરી દરમ્યાન ટીમ દ્વારા પ્રત્યેક ઘરની મુલાકાત લઇ રક્તપિત અંગે લોકોને સમજ આપી ઘરના તમામ સભ્યો ની રક્તપિત અંગે શારીરીક તપાસણી કરી રક્તપિતના શંકાસ્પદ દર્દીઓ ને શોધી નિદાન કરાવી સારવાર કરવામાં આવશે.

તાપી જિલ્લામાં રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦ હજારની વસ્તી એ ૧.૨૨ છે. જ્યારે ગુજરાત રાજ્યનો રક્તપિત રોગનો પ્રમાણ દર ૧૦ હજાર ની વસ્તી એ ૦.૩૨ છે. તાપી સહિત ૬ હાઈએન્ડેમીક જીલ્લાઓમા રક્તપિત રોગનું પ્રમાણદર ૧ કરતા વધારે છે.

અગાઉ રક્તપિતને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રક્તપિત સ્પર્શ કરવાથી ફેલાતો નથી. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠવા-બેસવાથી ફેલાતો નથી. રક્તપિત્ત વારસાગત નથી કે પૂર્વજન્‍મના પાપ કે શાપ નું ફળ નથી. પરંતુ આ રોગ ઉધરસ અને છીક દ્વારા ફેલાય છે.

આરોગ્ય વિભાગ દ્રારા વર્ષોથી રક્તપિતને નાથવા માટે અનેકવિધ પગલા હાથ ધરવામાં આવ્યા છે. કોરોનાકાળ બાદ વર્ષ ૨૦૨૩-૨૪થી આજદિન સુધી રક્તપિતના વણશોધાયેલ દર્દીઓ શોધવા એકટીવ કેસ ડીટેકશન એન્ડ રેગ્યુલર સર્વે, સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન, હાર્ડ ટુ રીચ એરીયા કેમ્પેઈન જેવી ખાસ ઝુંબેશ હાથ ધરીને સધન કામગીરી આરોગ્ય વિભાગ દ્રારા કરવામાં આવી છે. જેમાં જનરલ હેલ્થ સ્ટાફ અને આશાની ટીમો દ્રારા ઘરે-ઘરે તપાસ કરી રક્તપિત નવા દર્દી શોઘીને ત્વરીત બહુ ઔષઘિય સારવાર હેઠળ મુકી તેઓને રોગ મુકત કરેલ છે.

તાપી જીલ્લામા છેલ્લા આઠ વર્ષમા અનુક્રમે ૧૩ જેટલી રીકન્સ્ટ્રકટીવ સર્જરી કરી દર્દીઓની વિકૃતિ દૂર કરેલ છે. તાપી જીલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૫-૨૬ સુધીમા અનુક્રમે રક્તપિતના કારણે પગમાં બધીરતા ધરાવતાં કુલ- ૩૮૫૮ રક્તપિતગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર શુઝ (એમ.સી.આર.) પુરા પાડેલ છે. જેના કારણે પગમાં બધીરતા ધરાવતાં રક્તપિતગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર) થી બચાવી શકાય છે.

 

   ખરેખર રક્તપિત શું છે?

રક્તપિત માઈક્રોબેકટેરીયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉમરે સ્ત્રી અથવા પુરુષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિ થી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ /અપંગતા અટકાવી શકાય છે.

રક્તપિત રોગના ચિન્હો- લક્ષણો

(૧) શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું.

(૨) જ્ઞાનતંતુ ઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો.

રક્તપિતના દર્દીને સારવાર કયાંથી મળે?

રક્તપિત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડીસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ ખાતે એમ.ડી.ટી. (મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુ ઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.

 

ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *