ગોબર અને ગૌમુત્રના ઉપયોગથી પાક સંરક્ષણ શક્ય : વૈજ્ઞાનિક અભ્યાસ મુજબ પ્રાકૃતિક ખેતી જમીનમાં ઑર્ગેનિક કાર્બન વધારવામાં અસરકારક હોય છે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01. તાપી જિલ્લામાં ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી પ્રત્યે જાગૃતિમાં વધારો જોવા મળી રહ્યો છે. વૈજ્ઞાનિક તારણો દર્શાવે છે કે પ્રાકૃતિક ખેતી થકી જમીનનો ઑર્ગેનિક કાર્બન કુદરતી રીતે વધારી શકાય છે અને પાકને વિવિધ રોગો તથા જીવાતોથી સુરક્ષિત રાખી શકાય છે. આ પદ્ધતિમાં દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર મુખ્ય ઘટકો તરીકે મહત્વની ભૂમિકા ભજવે છે.
દેશી ગાયનું ગોબર સૂક્ષ્મ જીવાણુઓનો ભંડાર છે. એક ગ્રામ ગોબરમાં ૩૦૦થી ૫૦૦ કરોડ જેટલા જીવાણુઓ હાજર રહે છે, જે જમીનની ફળદ્રુપતા વધારવામાં સહાયક બને છે. તે નાઈટ્રોજન સ્થાપન, ફોસ્ફરસ,પોટાશ,સલ્ફર જેવા તત્વોની લભ્યતા સુધારવા, પેસ્ટિસાઇડ અને હેવી મેટલના વિઘટન અને પાકના અવશેષોના વિઘટનમાં મદદરૂપ થાય છે.
ગૌમૂત્રમાં પાક વિકાસ માટે જરૂરી પોષક તત્વો અને વૃદ્ધિહોર્મોન્સ હોય છે, જે પાકને જંતુઓ, ફૂગ, બેક્ટેરિયા અને વાયરસથી રક્ષણ આપે છે. ગોબર અને ગૌમૂત્રના ઉપયોગથી તૈયાર થતું જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત વગેરે જમીનને વધુ ઉપજાઉ બનાવે છે અને પાક સંરક્ષણમાં અસરકારક સાબિત થાય છે.
દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને બહારથી રસાયણિક ખાતર, જંતુનાશક કે હોર્મોન ખરીદવાની જરૂર રહેતી નથી, જેના કારણે ખેતી ખર્ચમાં ઘટાડો અને જમીનના આરોગ્યમાં સુધારો થાય છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
