તાપીમાં ‘રવિ કૃષિ મહોત્સવ’નું સફળ આયોજન, હજારો ખેડૂતોને આધુનિક ખેતીનું માર્ગદર્શન મળ્યું
મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને બે દિવસીય કાર્યક્રમનો વ્યારા ખાતે પ્રારંભ
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫. રાજ્ય સરકાર દ્વારા ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ખેતી અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં ‘કૃષિ વિકાસ દિન-૨૦૨૫’ અને ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫’નું બે દિવસીય કાર્યક્રમનું લોન્ચિંગ આજે વ્યારા ખાતે જિલ્લા પંચાયત હોલમાં સફળતાપૂર્વક કરવામાં આવ્યું. તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર આ બે દિવસના કાર્યક્રમમાં જિલ્લાના હજારો ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, વન અને પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. આ પ્રસંગે કલેકટર ડો. વિપિન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગલીયા, પ્રા. વહીવટદાર જયંત રાઠોડ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિવિધ સમિતિઓના પદાધિકારીઓ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લામાં વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો એક દિવસીય કાર્યક્રમ અને દરેક તાલુકામાં બે દિવસીય કાર્યક્રમો મળી કુલ ૮ કાર્યક્રમોની શ્રુંખલાનો પ્રારંભ આજે વ્યારા ખાતેથી કરવામાં આવ્યો, જેમાં અંદાજિત ૮૦૦૦ કરતા વધારે ખેડૂત મિત્રો ભાગ લેવાના છે. આ મહોત્સવમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, મિલેટસ પાકો, કૃષિ તાંત્રિકતા અને ખેડૂતલક્ષી સહાય યોજનાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવનારું છે.
આજે બીજા દિવસે તા. ૧૫/૧૦/૨૦૨૫ના રોજ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શન અને પ્રગતિશીલ ખેડૂતોનું મોડેલ ફાર્મની મુલાકાત આયોજિત થનારી છે. તેમજ તમામ તાલુકાના કાર્યક્રમોમાં પશુપાલન વિભાગ દ્વારા પશુ આરોગ્ય કેમ્પ પણ યોજાશે.
જિલ્લા કક્ષાના કાર્યક્રમ દરમિયાન કૃષિ અને બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ જિલ્લાના ૩૪૩૪ ખેડૂત લાભાર્થીઓને ટ્રેક્ટર સહાય અને ફાર્મ મિકેનાઇઝેશન વગેરે માટે કુલ ₹ ૭.૭૯ કરોડ (૭ કરોડ ૭૯ લાખ રૂપિયા)ની સહાય મંજુર કરવામાં આવી છે.
વ્યારા ખાતે આયોજિત આજના પ્રોગ્રામમાં રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, કલેકટર ડો. વિપિન ગર્ગ સહિત તમામ મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. જેમાં ખેડૂતોને વૈવિધ્ય સભર પ્રત્યક્ષ નિદર્શન દ્વારા વૈજ્ઞાનિક ખેતીની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત મહોત્સવ દરમિયાન ખેડૂતોને રવિ સિઝનમાં કયા પાકો લેવા, આધુનિક કૃષિ તકનીકો અને નવીન ટેકનોલોજી આધારિત ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિવિધ યોજનાઓ અને સરકારી સહાય યોજનાઓના લાભો વિશે પરિસંવાદ યોજાયો હતો.
અધ્યક્ષ સ્થાનેથી મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે, “ગુજરાત સરકારે કૃષિને વિકાસના કેન્દ્રમાં રાખીને ખેડૂતોની આવક બમણી કરવાના પ્રયાસો કર્યા છે. રવિ કૃષિ મહોત્સવ દ્વારા ખેડૂતોને જમીન સુધારણા, ગુણવત્તાયુક્ત બિયારણ અને પાણીના વિવેકપૂર્ણ ઉપયોગ અંગેની માહિતી મળી છે, જે તેમને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ થશે.”
આ બે દિવસીય કાર્યક્રમ જિલ્લા વહીવટી તંત્ર – તાપી દ્વારા સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો, જે ખેડૂતોમાં કૃષિ ક્ષેત્રે જાગૃતિ લાવવામાં અને ઉત્પાદન વધારવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થયો છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
