રવિ કૃષિ મહોત્સવ : આવતીકાલથી બે દિવસ વ્યારા સહિત ૮ તાલુકાઓમાં ‘કૃષિ વિકાસ દિન’ની ઉજવાશે
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૩, તાપી. વ્યારા સહિત તાપીના તમામ ૮ તાલુકાઓમાં તા. ૧૪ અને ૧૫ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન બે દિવસીય ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ જિલ્લા પંચાયત ઓડિટોરિયમ હોલ વ્યારા ખાતે જિલ્લા કક્ષાના કૃષિ મહોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેશે. જ્યારે અન્ય ૭ તાલુકાઓમાં અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓ આ કૃષિ મહોત્સવને ખુલ્લો મૂકશે.
આજે તા. ૧૪-૧૦-૨૦૨૫ના રોજ કૃષિ વિકાસ દિન તરીકે સવારે ૮:૩૦ થી સાંજે ૫:૦૦ કલાક દરમિયાન કૃષિ સેમિનાર અને પ્રદર્શન યોજાશે. જેમાં ખેતી અને બાગાયત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા આધુનિક ખેતીની પદ્ધતિઓ, જમીન સ્વાસ્થ્ય અને પાણી વ્યવસ્થાપન પર માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ ખેડૂતલક્ષી યોજનાઓના લાભનું વિતરણ, પશુ આરોગ્ય મેળો, કૃષિ પ્રદર્શનો અને વૈજ્ઞાનિકો સાથે સીધો સંવાદ જેવા મુખ્ય આકર્ષણો રહશે.
આ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રવિ સિઝનના પાકો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અને ખેડૂતલક્ષી સરકારી યોજનાઓ અંગે ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાનો છે. તાપી જિલ્લાના તમામ પ્રગતિશીલ ખેડૂતોને પોતાના તાલુકા મથકથી નજીકના સ્થળે આ જ્ઞાનવર્ધક મહોત્સવમાં હાજર રહી લાભ લેવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.
