ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓ જોગ સંદેશ
હયાતી ખરાઈ તથા પુન:લગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે ફરજિયાત કરવા અપીલ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૧૭. તાપી જિલ્લામાં હાલ ૨૯,૦૦૦ જેટલી ગંગા સ્વરૂપા બહેનો આર્થિક સહાય યોજનાના લાભાર્થી તરીકે નોંધાયેલ છે. તેમને દર મહિને ડી.બી.ટી.ના માધ્યમથી સીધી ચુકવણી તેમના બચત ખાતામાં કરવામાં આવે છે. નિયત સમયસર સહાય ચાલુ રહે તથા કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ. પટેલ દ્વારા હયાતી ખરાઈ તથા પુન:લગ્ન ન કર્યા અંગેના દાખલાનું વેરિફિકેશન મામલતદાર કચેરી ખાતે ફરજિયાત કરવા અપીલ કરવામાં આવી છે.
જેમાં ગંગા સ્વરૂપા યોજનાના તમામ લાભાર્થીઓએ પોતાની હયાતી ખરાઈ તાત્કાલીક અસરથી મામલતદાર કચેરી ખાતે કરાવવી જરૂરી છે.૧૮ થી ૫૦ વર્ષ વયના લાભાર્થીઓએ પુન:લગ્ન ન કર્યા અંગેનો તલાટીશ્રીનો દાખલો પણ મામલતદાર કચેરી ખાતે રજુ કરવાનો રહેશે.
જે લાભાર્થી બહેનોનું અવસાન થયેલ હોય, તેમના કુટુંબીજનોએ ગ્રામ પંચાયત/નગરપાલિકા ખાતે મરણ નોંધણી કરાવવી અનિવાર્ય છે. તેમજ મરણનો દાખલો મામલતદાર કચેરીમાં જમા કરાવવો જરૂરી છે. જો મરણ બાદ પણ સહાય જમા થતી રહે છે તો સંબંધિત રકમ રિકવરી કરવામાં આવશે.
ઉપરોકત બાબતો અંગે તાલુકાકક્ષાએ મામલતદારશ્રીનીકચેરી વ્યારા ખાતે પ્રવિણભાઇ ગામીત,ડોલવણ તાલુકા ખાતે કાર્ત્તિકભાઇ ચૌધરી ,ઉચ્છલ તાલુકા ખાતે નયનભાઇ ,વાલોડ તાલુકા ખાતે હેમાંશુભાઇ પટેલ,સોનગઢ તાલુકા ખાતે ગામીત રવિભાઇ,નિઝર તાલુકા ખાતે દિપકભાઇ પાડવી અને કુકરમુંડા ખાતે નીશાબેન તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી બ્લોક-નં-૪ ખાતે ગામીત બિપિનભાઇ નો સંપર્ક કરવો. ટેલીફોન નં-02626-222220 સંપર્ક કરી શકશો. એમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સુલોચના એસ.પટેલની અખબારી યાદીમાં જણાવેલ છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

