તાપી જિલ્લામાં આગામી ૨૩ જુલાઇ તાલુકા અને ૨૪ જુલાઇના રોજ જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે
ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૦ જુલાઇ સુધીમાં અરજીઓ મોકલી આપવાની રહેશે
–
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : : ૧૫. સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રીના અભિગમ દ્વારા પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટેનો તાલુકા અને જિલ્લા કક્ષાના “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવેલ છે. જે અન્વયે તાપી જિલ્લામાં જુલાઇ-૨૦૨૫નો “તાલુકા સ્વાગત કાર્યક્રમ આગામી ૨૩ જુલાઇ બુધવાર તથા જિલ્લા કક્ષાનો “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” ૨૪ જુલાઇ ગુરુવારના રોજ યોજાશે.
જેમાં ૨૩મી જુલાઇના રોજ વ્યારા તાલુકામાં કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,વ્યારા ખાતે સવારે-૧૧ કલાકે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે, વાલોડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી વાલોડ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે.કુકરમુંડા તાલુકામાં પોલીસ અધિક્ષકશ્રી,તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી કુંકરમુંડા ખાતે, નિઝર તાલુકામાં જિલ્લા પ્રાયોજના વહિવટદારશ્રી સોનગઢના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી નિઝર ખાતે, સોનગઢ તાલુકામાં ડાયરેકટરશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી સોનગઢ ખાતે, ડોલવણ તાલુકામાં પ્રાંત અધિકારીશ્રી વ્યારાના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ડોલવણ ખાતે, ઉચ્છલ તાલુકામા પ્રાંત અધિકારીશ્રી નિઝરના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી ઉચ્છલ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્ર્મ યોજાશે.
જયારે તાપી જિલ્લા માહે. જુલાઇ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૪.૦૭.૨૦૨૫ ગુરુવારના રોજ કલેક્ટર કચેરી તાપી ખાતે યોજાશે.
અરજદારોના પ્રશ્નો અંગે સંબંધિત કચેરી અને અધિકારીનો સંપર્ક કરવા છતાં અને નિયમિનુસાર તમામ કાર્યવાહી અનુસરવા છતા નિવેડો ન આવેલ હોય તેવી સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ આગામી તા. ૧૦/૦૭/૨૦૨૫ સુધીમાં સંબધિત તાલુકાના મામલતદારશ્રીને સમય મર્યાદામાં સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે,તથા જિલ્લા કક્ષાની સમસ્યાઓ/પ્રશ્નોની અરજીઓ જિલ્લાના સંબંધિત કચેરીમાં મોકલી આપવાની રહેશે, એમ તાપી જિલ્લા કલેક્ટરશ્રી તાપી-વ્યારાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

