વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં શિક્ષક દિનની ઉજવણી

(રહિમ પઠાણ દ્વારા, સુરત) : તા. ૦૪. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા ભારતના મહાન શિક્ષણવિદ, તત્ત્વચિંતક તથા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા શિક્ષક દિનના અનુસંધાને તા. 03 સપ્ટેમ્બર, 2026ના રોજ શિક્ષક દિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમાજશાસ્ત્ર વિભાગના વડાશ્રી પ્રો. એમ. એન. ગાયકવાડ સાહેબના માર્ગદર્શન અને પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય આશય શિક્ષકના શૈક્ષણિક, સામાજિક અને રાષ્ટ્રનિર્માણલક્ષી યોગદાન પ્રત્યે સન્માનની ભાવનાને પ્રોત્સાહન આપવાનો તથા શિક્ષક-વિદ્યાર્થી સંબંધને વધુ સુદૃઢ બનાવવાનો હતો. આ પ્રસંગે સમાજશાસ્ત્ર વિભાગના સેમેસ્ટર-1 અને સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક અને સક્રિયપણે સહભાગી થઈ કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકના મહત્વ, શિક્ષણના સામાજિક પરિવર્તનમાં રહેલા પ્રભાવ તથા વ્યક્તિત્વ ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અંગે પોતાની લાગણીઓ અને વિચારો વ્યક્ત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન શિક્ષકને માત્ર જ્ઞાનના પ્રસારક તરીકે નહીં, પરંતુ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ, મૂલ્યનિર્માણ, સામાજિક જવાબદારી અને રાષ્ટ્રના ભાવિ ઘડતરમાં મહત્વપૂર્ણ માર્ગદર્શક તરીકેની ભૂમિકા અંગે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન, સંકલન તથા સંચાલન સમાજશાસ્ત્ર વિભાગના સમગ્ર શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફના સહયોગથી સુચારુ રીતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજશાસ્ત્ર વિભાગ ખાતે આયોજિત શિક્ષક દિનની ઉજવણી શિક્ષક પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સન્માનની ભાવનાને ઉજાગર કરતી શૈક્ષણિક અને પ્રેરણાત્મક પહેલ તરીકે સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
