વિનય મંદિર ગ્રામભારતી કહેર ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ ઉજવાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને વેડછી પ્રદેશ સેવા સમિતિ, વાલોડ સંચાલિત વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026 વ્યાખ્યાન તારીખ 19/02/2026 ના રોજ એક વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમ પ્રસંગે સંસ્થાના મંત્રીશ્રી મનીષભાઈ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સુરતની સાર્વજનિક હાઇસ્કૂલ, પુણાગામના શિક્ષક ડૉ. સંજયભાઈ પટેલ હાજર રહ્યા હતા.
ડૉ. સંજયભાઈ પટેલે માતૃભાષાના મહત્વ અને શિક્ષણમાં તેની ભૂમિકા વિશે પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું.તેમજ ગુજરાતી ભાષાની સમૃધ્ધિ વિષે વાતો કરી હતી. તેમણે વિધાર્થીઓને માતૃભાષાનું ગૌરવ વધે તે માટે વાંચન પર ભાર મૂકતા વિધાર્થીઓ પાસે નિયમિત વાંચન કરવા અંગેની પ્રતિજ્ઞા લેવડાવી હતી.તેમણે પોતાની આગવી શૈલીમાં લોકગીતો, લગ્નગીતો, ઋતુ ગીતો અને દુહાની રમઝટ બોલાવી હતી.
મંત્રીશ્રી મનીષભાઈએ વિદ્યાર્થીઓને પોતાની ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ રાખવા અનુરોધ કર્યો હતો. તેમણે વિવિધ ઉદાહરણ આપી ગુજરાતી ભાષાનું આગવું મહત્વ સમજાવી વિવિધ બોલીઓ અને ભાષા વિશે રોચક માહિતી આપી હતી. પોતાની આગવી શૈલીમાં તેમણે પ્રાચીન ભજન અને ગુજરાતી ગીતો ગાય ગુજરાતી ભાષાની સમૃધ્ધિની ઝલક આપી હતી.
કાર્યક્રમમાં શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
કાર્યક્રમને અંતમાં મારા હસ્તાક્ષર મારી માતૃભાષામાં અંતર્ગત મહેમાનો,શિક્ષકો તેમજ વિદ્યાર્થીમિત્રોએ ગુજરાતીમાં પોતાના હસ્તાક્ષર કર્યા હતા.
આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીમાં માતૃભાષા પ્રત્યે જાગૃતિ લાવવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
