નિઝર ખાતે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો શુભારંભ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. 01 :- ભારત સરકારના નીતિ આયોગ દ્વારા પસંદ કરાયેલા ‘એસ્પિરેશનલ બ્લોક’ નિઝર ખાતે નિઝર એ.પી.એમ.સી. ખાતેથી રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ નો શુભારંભ કરતાં જણાવ્યું કે, શિક્ષણ, પોષણ, આરોગ્ય અને કૃષિ-પશુપાલન જેવા ક્ષેત્રોમાં નિઝર તાલુકાએ પ્રશંસનીય પ્રગતિ કરી છે. અધિકારીઓ અને નાગરિકોની સામૂહિક ભાગીદારીથી જ તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી વિકાસના ફળ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
આ તકે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. અનિલ વસાવા અને અન્ય વિભાગીય પ્રતિનિધિઓએ અત્યાર સુધીની કામગીરી અને આગામી સમયમાં સો ટકા લક્ષ્યાંક પૂરો કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. આ અભિયાન ૨૮ જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ, ૨૦૨૬ સુધી ચાલશે. જેમાં આરોગ્ય, શિક્ષણ અને ખેતી જેવા મહત્વના ૬ સૂચકાંકોમાં ૧૦૦ ટકા સિદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય છે.
કાર્યક્રમ દરમિયાન સખીમંડળની બહેનોને આર્થિક રીતે પગભર કરવા માટે રિવોલ્વિંગ ફંડના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, જિલ્લા અગ્રણીશ્રી સુરજભાઈ વસાવા, મહેન્દ્રભાઈ, જિલ્લા આયોજન અધિકારી કે. વી. પટેલ, તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ સહિતના અધિકારીઓ, ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
