તાપી જિલ્લાના કુકરમુંડા એસ્પિરેશનલ બ્લોકમાં ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’નો પ્રારંભ કરાવતા મંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વગ્રાહી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે એસ્પિરેશનલ બ્લોકમાં પાયાની સુવિધાઓમાં સુધારો લાવવો અનિવાર્ય – રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત
—-
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.31. :- નીતિ આયોગ, ભારત સરકાર દ્વારા પસંદ કરાયેલા તાપી જિલ્લાના એસ્પિરેશનલ બ્લોક – મહત્વાકાંક્ષી કુકરમુંડા એ.પી.એમ.સી. ખાતે શનિવારે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને આકાંક્ષી બ્લોક કાર્યકમ હેઠળ ‘સંપૂર્ણતા અભિયાન ૨.૦’ નો ભવ્ય પ્રારંભ કરાયો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સર્વગ્રાહી વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે એસ્પિરેશનલ બ્લોકમાં પાયાની સુવિધાઓમાં સુધારો લાવવો અનિવાર્ય છે. સંપૂર્ણતા અભિયાન ૨.૦ દ્વારા આપણે નિઝર અને કુકરમુંડા તાલુકાને વિકાસના નવા શિખરો પર લઈ જઈશું.
વધુમાં તેમણે, અગાઉ કુકરમુંડા તાલુકામાં આ અભિયાન હેઠળ સારી કામગીરી કરીને તાલુકાને ગૌરવ અપાવવા બદલ અધિકારી-કર્મીઓ અને સૌની સહભાગીદારીને બિરદાવી હતી.
નોંધનીય છે કે, કાર્યક્રમ દરમિયાન શિક્ષણ, આરોગ્ય, પોષણ, ખેતી-પશુપાલન ક્ષેત્રના ૬ મહત્વપૂર્ણ KPI – પર્ફોમન્સ ઇન્ડિકેટર્સમાં પ્રતિનિધિઓ દ્વારા કરેલ કામગીરી અને ૧૦૦ ટકા સિદ્ધિ પ્રાપ્ત કરવા માટેનો એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ કાર્યકમ દરમિયાન સખીમંડળના બહેનોને રિવોલવિંગ ફન્ડ મંજૂરી હુકમ એનાયત કરાયો હતો.
આ અભિયાન અંતર્ગત તા. ૨૮ જાન્યુઆરીથી ૧૪ એપ્રિલ, ૨૦૨૬ ના સમયગાળા દરમિયાન આરોગ્ય, પોષણ, શિક્ષણ અને પશુપાલન જેવા પાયાના ક્ષેત્રોમાં નિર્ધારિત કરેલા ૬ સૂચકાંકોમાં શ્રેષ્ઠ કામગીરી કરી સંતુલન જાળવવાનો ધ્યેય રાખવામાં આવ્યો
આ તકે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી ખ્યાતિ પટેલ, કુકરમુંડા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અમરસિંહ પાડવી, નિઝર તાલુકા પંચાયત પ્રમુખશ્રી મેહુલ પાડવી, એ. પી. એમ. સી. ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ પટેલ, જિલ્લા આયોજન અધિકારી કે. વી. પટેલ, સમિતિના સભ્યો, કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીશ્રી રાહુલ પટેલ, સ્થાનિક અગ્રણી, હોદ્દેદારો, ખેડૂતો, યુવાનો, ગ્રામજનો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
