નિઃસ્વાર્થ સેવાનો ભાવ જીવનને અમૂલ્ય બનાવે છે : ડો. મતાઉદ્દીન ચિશ્તી

બ્રહ્માકુમારીઝ માંગરોલ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન, સરપંચ સન્માન કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : મોટામિયા માંગરોલ મુકામે બ્રહ્માકુમારીઝ માંગરોળ સેવા કેન્દ્ર દ્વારા સ્નેહમિલન, સરપંચ સન્માન સમારોહ કાર્યક્રમ બ્રહ્માકુમારી તૃપ્તિબેન રાજ્યોગી સુરત, મોટામિયા માંગરોલની ઐતિહાસિક ગાદીનાં ગાદીપતિનાં સુપુત્ર અને ગાદીના અનુગામી ડો. મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી, ડો.આશાબેન નાયક, અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં બ્રહ્માકુમારીઝ માંગરોળમાંથી શારદાબેન, દક્ષાબેન સુરત સરથાણા, આજુબાજુનાં 17 જેટલાં સન્માનિત સરપંચો, સભ્યો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. શારદાબેનનાં શાબ્દિક સ્વાગત બાદ દીપપ્રાગટ્ય કરીને ઉપસ્થિત મહાનુભવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. તૃપ્તિબેને પોતાનાં વક્તવ્યમાં જણાવેલ કે સરપંચનો તાજ પણ ઈશ્વર દ્વારા જ નક્કી થતો હોય છે અને આ જવાબદારી ખૂબ જ નિષ્ઠાથી નિભાવવી પડતી હોય છે. ડો. મતાઉદ્દીન ચિશ્તીએ પોતાનાં પ્રવચનમાં જણાવેલ કે સન્માન એ અભિમાનનાં અંતનો આરંભ હોય ત્યારે તે સાર્થક થાય છે. સ્વાર્થ રહિત સેવા માટે નિરંતર સક્રિય રહે તે વાસ્તવમાં સરપંચ છે. તેમણે કહાં મિલતા હૈ કોઈ સમજનેવાલા, જો ભી આતા હે સમજા કે ચલા જાતા હૈ, જેવી પંક્તિ દ્વારા સરપંચે કેવી નિષ્ઠાથી કાર્ય કરવાનું છે તેની ખૂબ સુંદર સમજ આપી હતી. અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તાલુકાનાં 17 જેટલાં સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ દક્ષાબેન આટોપી હતી જ્યારે કૃપાલીબેને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્વેતાબેન તેમજ અન્ય બહેનોએ જહેમત ઉઠાવી હતી.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
