તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીના માધ્યમથી સમૃદ્ધિ અને સુખાકારી તરફ અગ્રેસર
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.29. :- તાપી જિલ્લામાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડીને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ ઉત્સાહભેર વળી રહ્યા છે. વર્ષોથી વપરાતા યુરિયા, ડી.એ.પી. અને ઝેરી જંતુનાશકોને કારણે જમીન કઠણ બની રહી છે અને માનવ સ્વાસ્થ્ય પર કેન્સર જેવા ગંભીર રોગોનું જોખમ વધ્યું છે, જેની સામે હવે પ્રાકૃતિક ખેતી એક સુરક્ષા કવચ બનીને ઉભરી રહ્યું છે.
કેમિકલમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી જમીન ફરી ફળદ્રુપ અને જીવંત બની રહી છે, જેના સીધા પરિણામે સામાન્ય નાગરિકોને શુદ્ધ, પોષણયુક્ત અને ઝેરમુક્ત આહાર મળતો થયો છે, જે માનવ જીવનની સુખાકારીમાં મોટો સુધારો લાવી રહ્યો છે. આ પદ્ધતિ ખેડૂતો માટે પણ આર્થિક રીતે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે કારણ કે તેમાં મોંઘા રાસાયણિક ખાતરો કે દવાઓ ખરીદવાની જરૂર રહેતી નથી, જેનાથી ખેતી ખર્ચમાં ધરખમ ઘટાડો થાય છે.
જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગથી પાકની ગુણવત્તા વધે છે અને બજારમાં પણ આવા પાકના સારા ભાવ મળે છે. પ્રાકૃતિક ખેતી અપનાવવાથી પર્યાવરણનું જતન થાય છે અને ભૂગર્ભ જળની સપાટી પણ જળવાઈ રહે છે, જે આવનારી પેઢી માટે એક સુરક્ષિત ભવિષ્યનું નિર્માણ કરે છે. ટૂંકમાં કહીએ તો પ્રાકૃતિક ખેતી આજે સમયની માંગ છે, અને આ પ્રાકૃતિક ખેતી ખેડૂતોના સમૃદ્ધિના દ્વાર ખોલે છે
પ્રાકૃતિક ખેતીના મુખ્ય લાભોની વાત કરીએ તો જમીનની ફળદ્રુપતા વધે છે. તેનાથી જમીનની ઉત્પાદન ક્ષમતા અને ઉત્પાદિત ચીજવસ્તુઓની ગુણવત્તા વધે છે. જેના પરિણામ સ્વરૂપે વેચાણ અને આવકમાં પણ વધારો થાય છે.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
