રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે કુકરમુંડા તાલુકામાં પાંચ નવીન આંગણવાડીઓનું લોકાર્પણ કર્યું
બાળકોના કુમકુમ પગલાં પડાવી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યો
—
બાળકોનું પોષણ સ્તર,સ્વાસ્થ્ય તેમજ સમજ શક્તિમાં સતત સુધારો થાય તે માટે જરૂરી સૂચનો આપ્ય
—
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૧૧. :- રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે કુકરમુંડા તાલુકાના કુકરમુંડા, બેજ, વેશગામ, બાલંબા અને ઝરીબેડા ગામે ગુજરાત કેમિકલ પોર્ટ લિ. ભરૂચ દ્વારા મળેલ સી.એસ.આર. હેઠળ નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું વિધિવત લોકાર્પણ કર્યું હતું.
મંત્રીશ્રીએ દરેક આંગણવાડી કેન્દ્રે રિબિન કાપી, પૂજા-અર્ચના કરીને લોકાર્પણ કર્યા બાદ આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બાળકોને કુમકુમના પગલા પડાવીને આંગણવાડી કેન્દ્રમાં પ્રવેશ કરાવ્યો હતો. તેમણે, બાળકો સાથે બાળસહજ સંવાદ કરીને સમૂહ તસ્વીર લીધી હતી. ઉપસ્થિત ગ્રામજનોએ પણ મંત્રીશ્રીની સાદગીની પ્રસંશા કરતાં ઉષ્માભેર સ્વાગત કર્યું હતું.
મંત્રીશ્રીએ નિઝર-કુકરમુંડા તાલુકાના બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી ઉન્નતિબેન ચૌધરી પાસેથી બાળકો તેમજ કિશોરીઓના શિક્ષણ, પોષણ અને સ્વાસ્થ્ય અંગે તેમજ આંગણવાડી કેન્દ્રો દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓના લાભોની જાણકારી મેળવી અને બાળકોના પોષણ સ્તર તેમજ સ્વાસ્થ્યમાં સતત સુધારો થાય તે માટે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજભાઈ વસાવા, જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ, ગામ આગેવાનો તથા આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
