કેવિકે વ્યારા ખાતે ખેત પેદાશોનું અસરકારક માર્કેટિંગ અને મૂલ્યવર્ધન વિષય ઉપર ખેડૂત પરિસંવાદ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ (ICAR),નવી દિલ્હી દ્વારા પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું એકમાત્ર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. આ કેંન્દ્ર ખાતે ૨૮ નવેમ્બર, ૨૦૨૫ દરમ્યાન નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડૉ. એચ. આર. શર્માના માર્ગદર્શન હેઠળ સેંટર ફોર રીસર્ચ ઇન એગ્રીકલ્ચરલ માર્કેટિંગ, અસ્પી એગ્રીબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટીટયુટ, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ., વ્યારાના સંયુક્ત ઉપક્રમે ખેડૂત પરિસંવાદનું આયોજન કરવામા આવ્યુ હતુ. સદર કાર્યક્રમમાં તાપી જિલ્લાના કુલ ૯૫ ખેડૂત ભાઈ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શ્રી ગણેશભાઈ જે. ચૌધરી, ચેરમેનશ્રી, એ. પી. એમ. સી., વ્યારા દ્વારા ખેડૂતોને બજારની જરૂરિયાત આધારિત અને ગુણવત્તાસભર ખેતી કરવા અંગે પ્રેરિત કર્યા હતા. વધુમાં તેમણે બજારમાં ભીંડાની માંગ અને ગુણવત્તા વિશે સમજણ આપી તથા રીંગણ પાકમાં હાલમાં બજારમાં વધુ માંગ ધરાવતી જાતો વિશે માહિતી આપી હતી. શ્રી ગણેશભાઈ દ્વારા ખેડૂતોને શાકભાજી પાકોના વેચાણ માટે વધુ ભાવ મળી રહે તેવા દક્ષિણ ગુજરાતનાં વિવિધ બજારો વિશે માહિતી આપી હતી.
ડૉ. જે. જે. પસ્તાગિયા, આચાર્ય, એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારી દ્વારા ઉપસ્થિત મહેમાનોને આવકારી કાર્યક્રમનુ મહત્વ સમજાવવામા આવ્યુ હતુ. વધુમાં તેમણે ખેડૂતોને બજાર વ્યવસ્થાપનમાં આવતી મુશ્કેલીઓ નિવારવાના જુદા જુદા મુદ્દાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. સી. ડી. પંડયા, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કેવિકે, ન. કૃ. યુ., વ્યારા (તાપી) દ્વારા તાપી જિલ્લામાં પ્રવર્તમાન બજાર વ્યવસ્થા વિશે સમજણ આપી નવીન બજાર પધ્ધતિઓ અપનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉ. રુચિરા શુક્લા, પ્રાધ્યાપક અને પી. આઈ., એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારી દ્વારા કાર્યક્રમની રૂપરેખા સમજાવી ખેડૂતલક્ષી આ કાર્યક્રમની ભૂમિકા સ્પષ્ટ કરી હતી તેમજ તેમણે ખેત પેદાશોની માર્કેટ લીંકેજ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. ડૉ. ભાવેશ ડી. ચૌધરી, સહપ્રાધ્યાપક, એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારી દ્વારા ખેત પેદાશોનું ડિજિટલ માર્કેટિંગ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડો. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા ખેત પેદાશોમાં મૂલ્યવર્ધનના વિવિધ પાસાઓ અંગે ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ડૉ. હર્ષલ જે. વશી, સહપ્રાધ્યાપક, એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારી દ્વારા ખેતપેદાશોમાં નિકાસની તકો વિષય ઉપર વિસ્તૃત ખ્યાલ આપવામાં આવ્યો હતો. ડૉ. વિરલ ચૌધરી, મદદનીશ પ્રાધ્યાપક, એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારી દ્વારા ખેત પેદાશોમાં બ્રાન્ડિંગ અને પેકેજીંગ વિષય ઉપર ટેકનિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું અને પ્રગતિશીલ ખેડૂત શ્રી પ્રતિકભાઈ ચૌધરી અને અરવિંદાબેન ગામિત દ્વારા કાર્યક્રમ અંગે તેમના પ્રતિભાવો રજુ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. અર્પિત જે. ઢોડિયા, વૈજ્ઞાનિક (કૃષિ વિસ્તરણ) દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
સમગ્ર તાલીમનું સફળ સંચાલન એએબીએમઆઈ, ન. કૃ. યુ., નવસારીના સિનિયર રિસર્ચ ફેલો ડૉ. દયા સુવાગિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.
ગુજરાત રક્ષા અખબારનાં વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં કલીક કરો.
