નિઝર તાલુકાના દેવાળામાં જમીન કૌભાંડમાં APMC ચેરમેનનાં પત્ની અને શિવસેનાના મહિલા જિલ્લા પ્રમુખ સામે ગુનો દાખલ થયો
(મુકેશ પાડવી દ્વારા, નિઝર) : નિઝર મામલતદાર તેજલકુમારી ચંદુભાઈ પટેલ દ્વારા નોંધાવાયેલી ફરિયાદના આધારે નિઝર પોલીસ મથકે ઠગાઈનો ગુનો દાખલ થયો છે.
પોલીસ ફરિયાદ મુજબ દેવાળાની જમીન સરવે નં.(૬, ૭-જૂનો ૨, ૩) અંગેના પેઢીનામામાં ખોટા પુરાવા ઊભા કરી પોતાનું નામ દાખલ કરાવ્યાના આક્ષેપો થયા છે. આ કેસમાં આરોપી તરીકે જ્યોતિબેન યોગેશભાઈ રાજપૂત નિઝર એપીએમસીના ચેરમેન યોગેશ રાજપૂતનાં પત્ની જ નહીં, પરંતુ નંદુરબાર જિલ્લા શિવસેના (શિંદે જૂથ)ની મહિલા જિલ્લા પ્રમુખ પણ છે. આરોપી જ્યોતિબેને પોતાને મૃતક સત્તરસીંગ લાલસીંગ રાજપૂતની પુત્રી તરીકે ખોટું દર્શાવી, કાયદેસરના વારસદારોને બાજુએ રાખી જમીન પોતાના નામે દાખલ કરાવી ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ નોંધ મુજબ આ ગુનો વર્ષ-૨૦૧૧ના ઓક્ટોબરથી નવેમ્બર દરમિયાન બન્યો હતો પરંતુ તેનો પર્દાફાશ વર્ષ:૨૦૨૫માં થયો છે. આ કેસમાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

