વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ઓલપાડનાં સ્યાદલા ગામે મહાનાયક બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : પ્રતિ વર્ષ 9 ઓગસ્ટનાં દિવસે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભારત સહિત ગુજરાતભરમાં કરવામાં આવે છે. વિશ્વભરનાં આદિવાસી સમુદાયોનાં હકોનું રક્ષણ ઉપરાંત તેમની આગવી સંસ્કૃતિ, બોલી, પરંપરા તથા જીવનશૈલીનું સંવર્ધન તેમજ તેમની સમસ્યાઓ તરફ સમાજનું ધ્યાન દોરવાનાં મૂળભૂત હેતુ સાથે ઉજવાતાં આ વિશેષ દિવસની ઉજવણી ઓલપાડ તાલુકાનાં સ્યાદલા ગામે મહાનાયક બિરસા મુંડાની પ્રતિમાનાં અનાવરણ સાથે કરવામાં આવી હતી.
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ એવાં ગામનાં રહીશ કિરીટભાઈ જયંતિભાઈ પટેલનાં સ્વર્ગસ્થ ધર્મપત્ની શિલ્પાબેન કિરીટભાઈ પટેલ (સરપંચ)નાં સ્મરણાર્થે સમસ્ત સ્યાદલા ગામ આદિવાસી સમાજનાં સૌજન્યથી આ તકે મહાનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ આમંત્રિત મહાનુભવો દ્રારા કરવામાં આવ્યું હતું.
સદર કાર્યક્રમમાં ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ પટેલ, કારોબારી અધ્યક્ષ જયેશભાઇ પટેલ, ધારાસભ્યનાં પી.એ. અશોકભાઈ પટેલ, તાલુકાનાં વિવિધ ગામોનાં સરપંચો ઉપરાંત તાલુકાનાં આગેવાનો આદિવાસીઓની પરંપરાઓનાં સન્માનનાં સંદેશ સાથે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે સ્થાનિક ગામનાં આદિવાસી સમુદાય સહિત આસપાસનાં ગામોનાં આદિવાસી સમુદાયમાં આનંદની લહેર વ્યાપી હતી.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ)
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

