ભમ ભમ ભોલે : પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કરમલા ગામની સુંદરમવિલા સોસાયટીનો સેવાયજ્ઞ અવિરત ચાલુ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ધાર્મિક દૃષ્ટિકોણથી ભંડારાનું આયોજન એક પુણ્ય કાર્ય માનવામાં આવે છે ત્યારે ઓલપાડ તાલુકા કરમલા ગામ સ્થિત સુંદરમવિલા સોસાયટીનાં રહીશો દ્રારા સિધ્ધનાથ મહાદેવ મંદિર જતાં પદયાત્રી માટે ચાર હજાર જેટલાં લસ્સીનાં ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસમાં પ્રભુ ભક્તિનું અનેરૂ મહત્વ છે. આ માસમાં ભક્તો ખાસ કરીને ભગવાન શિવજીને રીઝવવા માટેનાં પ્રયત્નો કરતાં હોય છે. શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામે છે. અત્રેની દરિયાઈ પટ્ટીએ આવેલ પૌરાણિક સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દર સોમવારે હજારોની સંખ્યામાં કાવડયાત્રીઓ તથા પદયાત્રીઓ ખૂબજ આસ્થાપૂર્વક શિવજીનાં દર્શનાર્થે આવતાં હોય છે, જેમનાં માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી તાલુકાનાં કરમલા ગામ સ્થિત સુન્દરમવિલા સોસાયટીનાં રહીશો એવાં મોન્ટુભાઈ, ધર્મેશભાઈ, હરિકૃષ્ણભાઈ, અંકેશભાઈ, વિમલભાઈ, ઘનશ્યામભાઈ, ગુનુભાઈ, દિલીપસીંગ, રાજુભાઈ, દિવ્યેશભાઈ, હિતેશભાઈ, ઉષાબેન, નિકિતાબેન, શ્રધ્ધાબેન, જ્યોત્સનાબેન સહિત અન્ય મિત્રો દ્રારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જય ભોલેનાં નાદ સાથે ભક્તિભાવપૂર્વક ચાર હજાર જેટલાં લસ્સીનાં ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. સદર યજ્ઞકાર્યમાં સુંદરમવિલા સોસાયટીનાં રહીશો ઉપરાંત સોસાયટીનાં અગ્રણી મુકેશભાઈ મારવાડી, કરમલા ગામનાં સામાજિક કાર્યકર અને માજી સરપંચ ઘનશ્યામભાઈ પટેલ તેમજ આગેવાનો મોડી રાત સુધી ખડેપગે રહ્યાં હતાં. આ તકે સૌએ સદર સેવા શિવકૃપાથી અવિરત ચાલુ રહેશે એવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.
તસવીર: વિજય પટેલ (ઓલપાડ )
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

