ઉમરપાડાની સામપુરા પ્રાથમિક શાળામાં બાળકોને ટ્રેકશૂટ વિતરણ કરવામાં આવ્યા
ડૉ. ધૃવિ ચૌધરીએ બાળકોને ટ્રેકશૂટ વિતરણ કરી પોતાનાં જન્મદિવસને યાદગાર બનાવ્યો
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઉમરપાડા તાલુકાની સામપુરા પ્રાથમિક શાળામાં ડૉ. ધૃવિ ચૌધરીએ તેનાં જન્મદિવસમાં ઉપલક્ષ્યમાં શાળાનાં તમામ બાળકોને ટ્રેકશૂટ વિતરણ કર્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. ધૃવિ ચૌધરી હાલ ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડ પર મેડીકલ ઓફિસર તરીકે સેવા આપી રહ્યાં છે. ઉમરપાડા જેવાં અંતરિયાળ જંગલ વિસ્તારનાં જરૂરિયાતમંદ બાળકો માટે જૂજ પ્રમાણમાં જ લોકો મદદ માટે આગળ આવતાં હોય છે ત્યારે ડૉ. ધૃવિ ચૌધરીએ પોતાનો જન્મદિવસ ગરીબ બાળકોનાં હિતાર્થે સમર્પિત કરી સમાજમાં આગવી છાપ છોડી છે. અત્રેની શાળામાં યોજાયેલ વિતરણ કાર્યક્રમ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે પોતે પગભર થયાં પછી પણ અન્યને પગભર થવા માટે મદદરૂપ થવું એજ આપણા જીવનની સાર્થકતા છે. દીકરીની દાતારી અને તેની સામાજિક ઉત્તરદાયિત્વની ભાવનાથી ગદગદિત થવા સાથે યજમાન શાળાનાં આચાર્ય અનિલભાઈ ચૌધરી ખરા અર્થમાં તેનાં જન્મદિવસની ઉજવણીમાં સહભાગી થયા હતાં.
સદર વિતરણ કાર્ય બાદ શાળાનાં આચાર્ય અનિલભાઈ ચૌધરી સહિત શાળાનાં ઉપશિક્ષકો સ્નેહલબેન તથા ગણેશભાઈ, શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ પાર્વતીબેન ચૌધરી તથા ઉપાધ્યક્ષ કરમસિંહભાઈ વસાવાએ દાતા ડૉ. ધૃવિ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો હતો.
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.

