વ્યારા ખાતે ઈન્કમ ટેક્ષ માર્ગદર્શન સેમીનાર યોજાયો

ઈન્કમ ટેક્ષ વિભાગ અને તિજોરી કચેરીના સંકલન હેઠળ જિલ્લાની તમામ કચેરીના હિસાબી અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૨૮ઃ ભારત સરકારશ્રીના ઈન્કમ ટેક્ષ વિભાગ અને જિલ્લા તિજોરી કચેરી વ્યારાના સંયુક્ત ઉપક્રમે આજરોજ ઈન્કમ ટેક્ષ માર્ગદર્શન સેમીનાર વ્યારા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયો હતો.સરકારી કચેરીઓના અધિકારી અને કર્મચારીઓના પગાર તેમજ કોન્ટ્રાકટરોના બીલમાંથી ઈન્કમ ટેક્ષ ની કપાત અંગે સુચારૂ માર્ગદર્શન આપતા ઈન્કમ ટેક્ષ ઓફિસરશ્રી ગૌતમ ઠાકુરે જણાવ્યું હતું કે પાનકાર્ડ ધરાવતા દરેક નાગરિકે સરકારશ્રીને ટેક્ષના નાણાં ભર્યા અંગે રીટર્ન ફાઈલ કરવું પડે છે. અથવા તો કોઈપણ પ્રકારની આવકમાંથી મર્યાદા કરતા વધુ આવક થવાના કિસ્સામાં સરકારનો ટેક્ષ ભરવો પડે છે. કોઈપણ કચેરીમા DDO (ઉપાડ અને વહેંચણી અધિકારી)ની અંગત જવાબદારી બને છે કે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓનો સમયસર ટેક્ષ કપાત થાય. તેમજ દરેક કર્મચારીઓની પણ ટેક્ષ ભરવાની અંગત જવાબદારી છે. ટેક્ષ કપાત નહીં કરવામાં આવે તો નિયમાનુસાર દંડની પણ જોગવાઈ છે. સરકારી કચેરીઓએ ત્રિમાસિક 24 Q માં આવકવેરાની કપાત દર્શાવવી જોઈએ. અને કોન્ટ્રાકટરો/સર્વિસ પ્રોવાઈડરો ની વિગત 26 Q ની માહિતી ઈન્કમ ટેક્ષના પોર્ટલ ઉપર અપલોડ કરવાની રહેશે. જેથી સમયમર્યાદામાં TDS આવકવેરાની માહિતી ઓનલાઈન પોર્ટ ઉપર રીફલેક્ટ થશે.
પેનલ્ટી વિભાગના મોરારી મિશ્રાએ જણાવ્યું હતું કે આપનો ટેક્ષ ભરવાનો બાકી હોય તો 1.5 % દંડ સાથે ઈન્કમ ટેક્ષ વિભાગમાંથી ઓનલાઈન પોર્ટલ દ્વારા નોટીસ ઈસ્યુ થાય છે. જેથી ગંભીરતા રાખી ટેક્ષ કેલ્ક્યુલેશન કરી નિયમિત ટેક્ષ ભરવામાં આવે તે ઈચ્છનીય છે. દર મહિનાની ૭ તારીખ સુધીમાં ટેક્ષની વિગતો ભરવી પડે છે. અને ત્રિમાસિક 24 Q ની વિગતો અચૂકપણે ભરવી જેથી ટેક્ષ બાકી ન રહે અને વર્ષના અંતે એકસાથે પણ ટેક્ષ ભરવો ન પડે.
ટેક્ષ કન્સલટન્ટ વિજયકુમારે સમયસર ટેક્ષ ભરીને તેની વિગતો આપવા માટે દરેકને અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં જિલ્લા તિજોરી અધિકારીશ્રી એન.એમ.ગાવિત, TDS વિભાગના ઈન્કમ ટેક્ષ ઓફિસર નલીનીબેન સહિત મોટી સંખ્યામાં હિસાબી અધિકારી/કર્મચારીશ્રીઓએ સેમીનારમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.
૦૦૦૦૦૦૦૦
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.