રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિના હસ્તે અધતન ડેપો વર્કશોપનું ખાત મુહૂર્ત કરાયું

રૂ.498.51 ના ખર્ચે 25 હજાર ચો.મી જમીન વિસ્તારમાં એસ.ટી ડેપો વર્કશોપ નિર્માણ કરવામાં આવશે
***
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.17. તાપી જિલ્લાના સોનગઢ મુકામે નવીન એસ. ટી ડેપો – વર્કશોપનુ ખાતમુહુર્ત આજરોજ રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિ, આદિજાતિ, વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર તરફથી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન પેટે ફાળવેલ સહાય થકી સુરત એસ.ટી વિભાગના સોનગઢ એસ.ટી ડેપો સાઇટ ખાતે આધુનિક સુવિધાઓથી સજ્જ આર.સી.સી ફ્રેમ સ્ટ્રકચરવાળા સુવિધાયુક્ત ડેપો વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે. કુલ 25 હજાર ચોરસ મીટર વિસ્તારમાં 498.51 લાખના ખર્ચે આ બાંધકામ મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં 1231 ચો.મી વિસ્તારમાં બાંધકામ કરવામાં આવશે જેમાં ડેપો મેનેજર ઓફિસ, એડમિન રૂમ, ટાયર રૂમ, બેટરી રૂમ, સ્ટોર રૂમ, ઓઈલ રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, લોંગ પીટ, શોર્ટ પીટ, વોટર રૂમ તેમજ 4 હજાર ચો.મી વિસ્તારમાં સી.સી. ટ્રી મિક્સ ફ્લોરિંગ કરવામાં આવશે. જ્યારે પ્રથમ માળ પર રેકોર્ડ રૂમ, ડિસ્પેન્સરી, રેસ્ટ રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ જેવી સુવિધાઓ આપવામાં આવશે. આ અધ્યતન બિલ્ડિંગમાં સોનગઢ ડેપો હેઠળની 60 જેટલી બસોની મરમ્મત થશે. સાથે આ માટે ઉપલબ્ધ મશીનરીની જાળવણી પણ કરવામાં આવશે.
આ ખાતમુહુર્ત પ્રસંગે રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે બસો રિપેરિંગ થાય તે માટે આ વિશાળ સુવિધા ઉભી કરવામાં આવી છે. અત્યાર સુધી રિપેરિંગ કરવા માટે બારડોલી સુધી જવું પડતું હતું. જેનો હવે અંત આવશે. તેમણે જણાવ્યું હતું કે આજના જમાનામાં આપણને ગુજરાત એસ.ટી નિગમ દ્વારા સ્વચ્છ અને સલામત યાત્રા મળી રહી છે. આ પ્રસંગે તેમણે નિગમના અધિકારીઓને કોરોના કાળમાં બંધ થયેલી બસોના ગ્રામ્ય વિસ્તારોના રૂટ શરૂ કરવા સૂચન કર્યું હતું.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી ડૉ.જયરામભાઈ ગામીત, ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોંકણી, સોનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી સારિકાબેન પાટીલ, એસ.ટી વિભાગીય અધિકારી શ્રી શિવાનીબેન શાહ, બલરામ પટેલ, ડેપો મેનેજર સોનગઢ તેમજ અન્ય મહાનુભાવો આ ખાતમુહૂર્તના સાક્ષી બન્યા હતા.
**
વધુ અપડેટ અને સમાચારો મેળવવા માટે ગુજરાત રક્ષાના whatsapp ગ્રુપમાં જોડાવો, અહીં ટચ કરો.