શિક્ષકોની સમર્પણ ભાવનાથી જ તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે : રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત

તાપી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડ, સન્માનપત્ર અને રોકડ પુરસ્કારથી બહુમાન કરાયું
—
એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે કલેક્ટરશ્રી દેવ ચૌધરી અને ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી દ્વારા શિક્ષકોને પ્રોત્સાહન
—
વ્યારા ખાતે રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ યોજાયો
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 05. :- શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે વ્યારાની કે.કે. કદમ કન્યા વિદ્યાલય ખાતે યોજાયેલા તાપી જિલ્લા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ’ ને સંબોધતા રાજ્યકક્ષાના રમત અને પ્રવાસન મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિશેષ ભાર મૂક્યો છે. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા અને ભૌતિક સુવિધાઓ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે, ત્યારે શિક્ષકોની સમર્પણ ભાવનાથી તાપી જિલ્લાનું ભાવિ ઉજ્જવળ બનશે.
આ તકે ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણી અને જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીએ પણ તાપી જિલ્લામાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે, શિક્ષણની ગુણવત્તા અને સુવિધામાં કોઈ કચાસ ન રહે તેમજ શિક્ષકોને સમર્પણની ભાવના સાથે તાપી જિલ્લાના ભાવિ ઘડતર માટે પરિમામલક્ષી પ્રયાસો કરવા શિક્ષકોને પ્રોત્સાહન પુરુ પાડ્યુ હતુ.
આ કાર્યક્રમમાં ઉચ્છલ તાલુકાના સયાજીગામ પ્રાથમિક શાળાના શિક્ષક ડો. વિમલકુમાર ટંડેલ, ડોલવણ તાલુકાના જીવનજ્યોત હાઈસ્કુલ બરડીપાડાના શિક્ષકશ્રી તુષારકુમાર તંબોળી અને વાલોડ તાલુકાના શ્રી સ.ગો. હાઈસ્કુલના શિક્ષકશ્રી રંજનબેન ગામીતને જિલ્લાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ-સન્માન તથા રોકડ પુરસ્કાર આપી પત્ર આપી સન્માનિત કરાયા હતા. ઉપરાંત ડોલવણ તાલુકાના નવાઠી પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી અંકિતાબેન ગામીતેને તાલુકાકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે એવોર્ડ-સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ સહિત પણ ઉત્કૃષ્ટ કામગીરી બદલ શિક્ષકોનું બહુમાન કરાયું હતુ.
વધુમાં, તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના ઉખલદા ગામના વીર શહીદ ઋત્વિકકુમાર અશોકભાઈ ચૌધરી માતૃભૂમિની રક્ષા કાજે જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન વીરગતિ પામ્યા છે. આ શહીદ જવાનને સૌએ બે મિનિટનું મૌન પાળીને ભાવભીની શ્રદ્ધાજંલી અર્પણ કરી હતી.
૫મી સપ્ટેમ્બરે સમગ્ર દેશમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ ઉજવવામાં આવે છે. શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ચંચળબેન ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. વર્ષાબેન વસાવા, સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લા-તાલુકાના આચાર્ય-શિક્ષકશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
