આપત્તિ વ્યવસ્થાપન અંગે પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમ સોનગઢ કોલેજ ખાતે યોજાયો

SDRF ટીમ દ્વારા વિદ્યાર્થીઓને CPR, સર્પદંશ, આગ-પૂર અને રેસ્ક્યૂ અંગે પ્રાયોગિક તાલીમ અપાઈ
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા.૫:. સોનગઢ આર્ટ્સ-કોમર્સ કોલેજ ખાતે IQAC અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે એસડીઆરએફ ટીમ વાવ-સુરત તથા વ્યારા પોલીસ હેડ ક્વાર્ટર, તાપીના સહયોગથી “આપત્તિ વ્યવસ્થાપન” ડેમોસ્ટ્રેશન કાર્યક્રમ યોજાયો હતો. કોલેજના આચાર્યશ્રી ડૉ. રાજેશ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આપત્તિના સમયે બચાવ કામગીરી અંગે પ્રાયોગિક તાલીમ મેળવી હતી.
કાર્યક્રમના પ્રારંભે આચાર્યશ્રી ડૉ. રાજેશ પટેલે કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન સ્વબચાવ તથા અન્ય લોકોને મદદરૂપ થવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. વ્યારા પોલીસ હેડ ક્વાર્ટરના પી.એસ.આઈ. શ્રી અજીત ચૌધરીએ પણ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું. SDRF ટીમના કમાન્ડર શ્રી આર.વી. ગામીતે ડેમોસ્ટ્રેશનની રૂપરેખા રજૂ કરી હતી.
SDRF ટીમ દ્વારા પ્રાથમિક સારવાર, લોહી વહેતું અટકાવવાની પદ્ધતિઓ, ફ્રેક્ચરની સ્થિતિમાં કરવાની કાર્યવાહી, બાહ્ય-આંતરિક રક્તસ્ત્રાવ તથા CPR આપવાની યોગ્ય રીત અંગે પ્રત્યક્ષ નિદર્શન કરાયું હતું. સર્પદંશની પ્રાથમિક સારવાર તેમજ ઝેરી અને બિનઝેરી સાપની ઓળખ અંગે પણ વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.
આ ઉપરાંત આગના વિવિધ પ્રકારો, આગ બુઝાવવાના સાધનો અને PAST પદ્ધતિથી આગ પર નિયંત્રણ મેળવવાની રીત, પૂર દરમિયાન બચાવના ઉપાયો, ડ્રાય રેસ્ક્યૂ, કોમ્પેક્ટ રેસ્ક્યૂ, લાઈફ જેકેટ અને રબર બોટના ઉપયોગ અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વ્યક્તિને બચાવવા માટે દેશી સ્ટ્રેચર તૈયાર કરવાની પદ્ધતિનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. મનીષ બારે કર્યું હતું, જ્યારે આભારવિધિ IQAC ચેરમેન પ્રા. પ્રતિમા ગામીતે કરી હતી. કાર્યક્રમમાં કોલેજનો શૈક્ષણિક તથા બિન-શૈક્ષણિક સ્ટાફ, એન.એસ.એસ. સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
00000
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
