તિરંગા યાત્રા અને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી સંદર્ભે તાપી કલેક્ટર દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

૧૩મીએ સ્વામી વિવેકાનંદ રીવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવાશે
—
૧૪મીએ વ્યારા આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ અંગે કાર્યક્રમ યોજાશે
—
(માહિતી બ્યુરો દ્વારા, તાપી) : તા. 11. :- હર ઘર તિરંગા અભિયાન તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી પ્રસંગે તાપી જિલ્લા કલેક્ટરશ્રી દેવ ચૌધરીના અધ્યક્ષસ્થાને મંગળવારે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લાકક્ષાની તિરંગા યાત્રાના રૂટને આખરી ઓપ અપાયો હતો.
વ્યારાના ઉનાઈ નાકા પાસે આવેલા સ્વામી વિવેકાનંદ રિવરફ્રન્ટ બસ સ્ટેન્ડ ખાતેથી સવારે ૧૧ કલાકે ભવ્ય તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ યાત્રા અંબાજી મંદિર, સ્વામિનારાયણ મંદિર, સયાજી ગ્રાઉન્ડ અને આશીર્વાદ હોસ્પિટલ જેવા મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈને ઉનાઈ નાકા ખાતે આવીને પૂર્ણ થશે.
આ તિરંગા યાત્રામાં જિલ્લાના અગ્રણીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, પોલીસ વિભાગ, સાંસ્કૃતિક, એનસીસી અને એનએસએસની ટુકડીઓ, પોલીસ અને સ્કૂલ બેન્ડ, વિવિધ વિભાગોના અધિકારીઓ-કર્મચારીઓ, યુવાનો, બાળકો, મહિલાઓ, વડીલો તેમજ તમામ સરકારી અને બિનસરકારી સંસ્થાઓ સહિત પ્રત્યેક જિલ્લાવાસી જોડાશે.
નોંધનીય છે કે, ૧૪મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી વ્યારાના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. કાર્યક્રમ પૂર્ણ થતાં વિભાજનના પીડિતો અને દિવંગતો માટે મૌન પાળવામાં આવશે, ત્યારબાદ શાંત કેન્ડલ લાઈટ માર્ચ કોલેજથી પ્રસ્થાન કરીને બીરસા મુંડા પ્રતિમા પાસે પૂર્ણાહુતિ પામશે.
000
- સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
