ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ પ્રગતિ મંડળ દ્વારા સ્નેહ મિલન સહ નિવૃત્ત કર્મચારી સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તા.૦૬. ઓલપાડ સ્થિત ખૂંટાઈ માતાનાં મંદિરનાં સભાગૃહમાં ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજ દ્વારા આયોજિત સ્નેહ મિલનમાં ઓલપાડ તાલુકાનાં ગામેગામથી સમાજજનો એકત્રિત થયા હતાં. કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં ઓલપાડ તાલુકાનાં સમાજનાં ૨૦૦ થી પણ વધારે નિવૃત્ત કર્મચારીઓને સુંદર મજાનાં પુષ્પગુચ્છ અને સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમનાં અધ્યક્ષસ્થાને દક્ષિણ ગુજરાત વીજ કંપનીનાં ચીફ એન્જિનિયર મહેશભાઈ સુરતી હતાં. કાર્યક્રમનાં મુખ્ય વક્તા તરીકે કવિ સાહિત્યકાર પ્રકાશભાઈ પરમારે નિવૃત્ત કર્મચારીઓ સમાજને શી રીતે ઉપયોગી બની શકે તેની વિગતે છણાવટ કરીને નિવૃત્ત કર્મચારીઓનાં સન્માનનો કાર્યક્રમ રાખવા બદલ ઓલપાડ તાલુકા માહ્યાવંશી સમાજનાં પ્રમુખ ખંડુભાઈ પરમાર (સ્યાદલા), ઉપપ્રમુખ ઠાકોરભાઈ ગોહિલ (કન્યાસી) અને ધીરુભાઈ કંથારીયા (સાંધિયેર) મહામંત્રી ઈશ્વરભાઈ માહ્યાવંશી (સોંદલાખારા)ને અભિનંદન પાઠવ્યા હતાં.
સમાજ અગ્રણી અભિષેક કોસંબિયા, રાજુભાઈ ચાવડા, ગુમાસ્તાધારા ઇન્સ્પેક્ટર જય રાઠોડ, ડૉ. જય કોસંબિયા, ડૉ. રીમા પરમાર અને યુવા ઉપનિષદનાં અજય પટેલ મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરતાં પ્રમુખ ખંડુભાઈ પરમારે સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ વિકાસ માટે સહયોગી સૌને બિરદાવ્યા હતાં. અંતમાં આભારવિધિ ઉપપ્રમુખ ધીરુભાઈ કંથારીયાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ભારુંદી શાળાનાં શિક્ષક રાકેશ મહેતાએ કર્યું હતું. કાર્યક્રમને અંતે સૌએ સ્નેહભોજન લીધુ હતું.
○○○
સૌથી મહત્વપૂર્ણ બાબતથી ચૂકશો નહીં.
👉🏻 ગુજરાત રક્ષા હમણાં જ ડાઉનલોડ કરો અને માહિતીની શક્તિથી સુરક્ષિત રહો !
________________
